બેંગલુરુ ભાગદોડ બદલ વિરાટ કોહલી જવાબદાર : પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
બેંગલુરુ ભાગદોડ મામલે ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચાર જૂનના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલ ભાગદોડમાં ૧૧ લોકોના મોત થયા હતા અને અનેકો ઇજાગ્રસ્ત થયા હતા. આરસીબીએ પ્રથમ વખત આઇપીએલ ટ્રોફી જીત્યા બાદ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. દરમ્યાન સ્ટેડિયમની બહાર ભીડ વધી જવાના કારણે ભાગદોડ મચી જવા પામી હતી.
સામાજીક કાર્યકર એચએમ વેંકટેશે પોતાની ફરિયાદમાં આરસીબીની પ્રથમ આઇપીએલ જીતની ઉજવણી દરમ્યાન મચેલ ભાગદોડ માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવ્યો છે. જો કે તેની ફરિયાદ પર એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી. પોલીસે કહયું હતુંક ે, ફરિયાદ અંગે અગાઉથી દાખલ બાબતો અંતર્ગત વિચાર કરવામાં આવશે અને ભાગદોડની ઘટનાની ચાલતી તપાસમાં આ મુદ્દે પણ તપાસ કરાશે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાએ કહયું હતું કે, સ્ટેડિયમની ભીડને સંભાળી ન શકાઇ. સ્ટેડિયમની ક્ષમતા ૩પ હજારની હતી અને ઉજવણીમાં લગભગ રથી ૩ લાખ લોકો આવ્યા હતા. રાજય સરકારે આ મામલે તપાસ માટે હાઇકોર્ટને નિવૃત જજ જોન માઇકલ ડિકુન્હાના તેત્વમાં એક સભ્ય તપાસ આયોગની નિયુકિત કરી છે. ઉલ્લેખનીય છે કે,આજે આરસીબી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ એન્ટરટેનમેન્ટ પ્રા.લિ.ના ચાર અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોનુસાર આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તમામને ૧૪ દિવસ માટે જેલમાં મોકલાયા છે. બેંગલુરના ૪૧મા વધારાના મુખ્ય મેટ્રોપોલિટન ન્યાયાધીશે આરસીબીના નિખિલ સોસલે (માર્કેટીંગ અને રાજસ્વ પ્રમુખ) તથા ડીએનએ એન્ટરટેનમેન્ટ પ્રા.લિ.ના સુનિલ મૈથ્યૂ (ઉપાધ્યક્ષ, વ્યવસાયિક બાબતો), કિરણકુમાર (વરિષ્ઠ ઇવેન્ટ મેનેજર) તથા સુમંત (ટિકટીંગ સંચાલન પ્રમુખ)ને ૧૪ દિવસની કેદમાં મોકલી આપ્યા છે. બેંગલુરુ પોલીસ આયુકત સીમાંતકુમાર સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, ભાગદોડ મામલે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. અમારી ટીમ આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે અને અંતે મામલો સીઆઇડી પાસે પહોંચશે. આથી તે અગાઉ અમારી ટીમ દ્વારા કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી છે.