આણંદ મનપા દ્વારા ૪ કરોડના ખર્ચે 31 રિચાર્જ બોરની કામગીરી શરૂ
આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં ‘કેચ ધ રેઇન’ યોજના હેઠળ જુદા જુદા વિસ્તારોમાંથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે ૪ કરોડના ખર્ચ ૩૧ રિચાર્જ બોર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનો પ્રારંભ લાંભવેલમાં હનુમાનજી મંદિર પાછળના વિસ્તારમાં કરવામાં આવ્યો છે.
મનપા વિસ્તારમાં ૩૧ રિચાર્જ બોરની કામગીરી પૈકી મોટાભાગના બોર ચોમાસા અગાઉ તૈયાર થઇ જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવાનો કોન્ટ્રાકટ અપાયાનું જાણવા મળે છે. મનપાના જળ સ્ત્રોત એન્જિનીયર વિભાગના જણાવ્યાનુસાર તમામ રિચાર્જ બોર ૧૦૦ ફુટ ઊંડાઇના તૈયાર કરવામાં આવનાર છે.
જેમાં ખાસ કરીને આણંદ મનપાની જે શાળાઓમાં ચોમાસા દરમ્યાન વધુ વરસાદી પાણી ભરાઇ રહે છે ત્યાં રિચાર્જ બોર બનાવવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પાણી વધુ ભરાઇ રહેતા હોય તેવા જીટોડિયા, ગામડી, લાંભવેલ, બાકરોલ, વિદ્યાનગર અને કરમસદના વિસ્તારોને પણ સાંકળવામાં આવ્યા છે. આ પ્રકિયામાં વરસાદી પાણીને વહી જતું અટકાવીને જમીનમાં ઉતારવામાં આવશે. જેથી જમીનની અંદર રહેલું પાણી રિચાર્જ થશે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના સંજોગોમાં રિચાર્જ બોર દ્વારા વધુ માત્રામાં વરસાદી પાણી જમીનમાં ઉતરશે. જો કે કોઇ રિચાર્જ બોરમાં એર લોકીંગની સમસ્યા થાય તો વરસાદી પાણી ધીમી ગતિએ જમીનમાં ઉતરે છે.
આણંદમાં ૧૦-૧ર વર્ષ જૂના ૩૬ રીચાર્જ બોરમાં કોમ્પ્રેસર સહિતની તંત્ર દ્વારા કામગીરી
અગાઉ આણંદ પાલિકાના જુદા જુદા વિસ્તારમાં ૧૦થી ૧ર વર્ષ જૂના રિચાર્જ બોર આવેલા છે. જેમાં ખાસ કરીને ટીપી ૪, ૧૦૦ ફુટ રોડ, વૈષ્ણવ ટાઉનશીપ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. દર વર્ષ ચોમાસા અગાઉ આ જૂના રિચાર્જ બોરમાં તંત્ર દ્વારા કોમ્પ્રેસર મારવાની કામગીરી કરવામાં આવે છે. જેથી વરસાદના સમયમાં એર લોકીંગ સહિત પાણી ધીમું ઉતરવાની સમસ્યા દૂર થાય.