આણંદની એર ઇન્ડિયા ઓફિસ હવે લગ્ન નોંધણી માટેનું કેન્દ્ર
અગાઉના વર્ષોમાં વિદેશ જનાર ઇચ્છુકોમાં ચરોતરવાસીઓની વિશેષ સંખ્યા જોવા મળતી હતી. આણંદ, ખેડા જિલ્લાના મોટાભાગના શહેરો, ગામોમાંથી વિદેશમાં નોકરી, વ્યવસાય સહિતના ક્ષેત્રે સ્થાયી થયેલાઓની નોંધપાત્ર સંખ્યા જોવા મળતી. સાથોસાથ દર વર્ષ ખાસ કરીને નવરાત્રિ, દિવાળી અને ડિસેમ્બરમાં વતન આવતા એનઆરઆઇથી ચરોતર જાણે ધમધમી ઉઠતું. બીજી તરફ વિદેશ વસતા કુટુંબીજનો, પરિવારજનોને મળવા, ફરવા સહિતના કારણોસર ચરોતરમાંથી મોટી સંખ્યામાં દર વર્ષ હવાઇ મુસાફરી કરનારાઓની સંખ્યા પણ ખાસ્સી જોવા મળતી. આ વિશેષ કારણોને ધ્યાને લઇને એર ઇન્ડિયા દ્વારા ૧૯૮રમાં આણંદમાં નગર પાલિકા ભવનની રોડ તરફેની જગ્યા ૯ વર્ષના લીઝ પર લઇને ઓફિશીયલ એર ઇન્ડિયાની કચેરી કાર્યરત કરી હતી. ૧૯૮રમાં પાલિકામાં રજીસ્ટરમાં હાથે લખીને નોંધ પાડવામાં આવતી હતી. આશરે ર૦૧રમાં પાલિકાઓમાં કમ્પ્યુટર વર્કીગની શરુઆત થઇ હતી. પાલિકાની પ૦૪ ચો.ફુટ જગ્યામાં કાર્યરત કરાયેલ એર ઇન્ડિયાની ઓફિસ મુંબઇમાં નરીમાન પોઇન્ટ સ્થિત એર ઇન્ડિયાની મુખ્ય કચેરી સાથે કનેકટેડ હતી.
આણંદની એર ઇન્ડિયાની ઓફિસમાં હવાઇ મુસાફરોને ફલાઇટ ટિકીટ બુકીંગ, એરપોર્ટ લોન્ઝ, એરપોર્ટ ટ્રાન્સફર, ઇમીગ્રેશન સર્વિસ, મીસીંગ લોન્જ, ફલાઇટ ટિકીટ કેન્સેલેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હતી. વર્ષ ર૦૦૯-૧૦માં પાલિકાએ ભાડામાં વધારો કરીને રૂ.૩૦ર૪ માસિક કર્યુ હતું. જો કે દર ૯ વર્ષ એર ઇન્ડિયા ઓફિસની લીઝ રીન્યુ કરવામાં આવતી હતી.
દરમ્યાન કમ્પ્યુટર યુગની શરુઆત બાદ ઓનલાઇન બુકીંગનો ટ્રેન્ડ વધ્યો. ખાનગી એજન્ટો દ્વારા પણ ફલાઇટની ટિકીટો સહિતની સેવાઓ આપવાની શરુઆત કરાઇ. જેના કારણે આણંદ સ્થિત એર ઇન્ડિયા કચેરીમાં અગાઉ કરતા મુસાફરોનો ઘસારો ખાસ્સો ઘટયો હોવાનું જોવા મળ્યું હતું. દરમ્યાન ર૦ર૧-રરમાં કોરોનાના કારણે મહિનાઓ સુધી વિમાની સેવાઓ બંધ રહી હતી. જેના કારણે કચેરીઓ પણ બંધ અને કોરોના નિયમ પાલન સાથે અમુક સમય ખુલ્લી રાખવામાં આવતી હતી. આ સહિતના કારણોને ધ્યાને લઇને એર ઇન્ડિયા દ્વારા તેની આણંદ સ્થિત કચેરીને પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ગત ૩૦ મે,ર૦રરના રોજ કચેરી બંધ કરાઇ હતી. તે સમયે તેનું ભાડુ રૂ. પ૦૪૦ હતું. જો કે આ ખાલી પડેલી કચેરીમાં આણંદ મનપા દ્વારા તાજેતરમાં લગj નોંધણી વિભાગ શરુ કરવામાં આવ્યો છે. અગાઉ આ વિભાગ મનપામાં પ્રથમ માળે, બાદમાં ભોંયતળિયે લાવવામાં આવ્યો હતો. પરંતુ કચેરીમાં ઓછી જગ્યાની સામે કયારેક વધુ અરજદારોની ઉપસ્થિતિથી સંકડાશ અનુભવાતી હોવા સહિતના પ્રશ્નો જોવા મળતા હતા. જેથી સત્તાધીશો દ્વારા અરજદારોની સાનુકૂળતા માટે લગj નોંધણી કચેરીનું સ્થળાંતર કરાયું છે.