ગણેશ ચોકડી સર્વિસ રોડે વરસાદી પાણી ભરાતા વારંવાર ટ્રાફિક જામ
આણંદ ગણેશ ચોકડી નવીન ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કલેક્ટર કચેરી ગણેશ ચોકડી સુધી સર્વિસ રોડ તૈયાર કર્યા બાદ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરતાં વારંવાર ટ્રાફિક જામ સ્થિતી સર્જાય છે. જો કે તંત્રના સંકલનના અભાવે હજારો વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યાં હોવાનું મનપાના કર્મચારીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રિ મોન્સુન અંતર્ગત વરસાદી પાણીના નિકાલ મનપા તંત્રને આદેશ કર્યો હતો. ત્યારે ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી સિંચાઇ વિભાગ સહિત કલેક્ટર કચેરી માર્ગ પર સતત 24 કલાક વાહનચાલકો અવરજવર રહેતી હોવાથી સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવતાં પાણી ભરાઇ જાય છે. જેના પગલે આજુબાજુ વિસ્તારની સોસાયટીના રહીશો અને વાહનચાલકો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.
બીજી તરફ ગટર લાઇન ખોદકામ કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી પીવાના પાણીની પાઇપ લાઇનો તુટી જાય છે. જેના પગલે સર્વિસ રોડ પર પાણીની રેલમ છેલ થઇ જાય છે. માર્ગ પર જિલ્લા કલેકટર સહિત સરકારી બાબુઓની અવરજવર રહેતી હોવા છતાં વારંવાર ટ્રાફિક જામ સ્થિતી સર્જાતી હોવાથી વાહનચાલકો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. બીજી તરફ ફરિયાદોને પગલે મનપા ટીમોએ ગણેશ ચોકડીએ નીક બનાવીને વરસાદી પાણીના નિકાલ કર્યો હોવાનું જણાવ્યું હતું.