આણંદમાં રૂ.32 લાખના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ શરૂ: શાકમાર્કેટ એક મહિના માટે ખસેડાશે
આણંદ મનપા બન્યાં બાદ જુદા જુદા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં બેઠક મંદિરથી ચોપટાના દરવાજા સુધી રૂ 32 લાખના ખર્ચે આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેથી વહેરાઇ માતા ચોકમાં ભરતાં શાકમાર્કેટ એક માસ સુધી બેઠક મંદિર સામેની ખુલ્લી જગ્યામાં ભરાશે. આ ઉપરાંત શાસ્ત્રી બાગની બાજુમાં પેવર બ્લોક અને અમીન ઓટો થી જૂના મોગરી રોડનું નવીનીકરણ કામગીરી હાથ ધરાનાર છે. જેનુ ખાતમુહુર્ત કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરસીસી રોડની કામગીરીના પગલે વહેરાઇ માતા માર્ગ 1 માસ સુધી બંધ રાખવામાં આવનાર છે. ત્યારે વહેરાઇમાતા ચોક પાસે ભરાતાં શાકમાર્કેટ કામ ચલાઉ બેઠક મંદિર સામે ખસેડવામાં આવ્યું છે. જ્યારે આરસીસી રોડ, મોગરી રોડ અને પેવર બ્લોકનું ખાતમુહુર્ત વહેરાઇ માતા ચોક ખાતે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ સહિત નેતાઓની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. મોગરી ગામને જોડતો રસ્તો છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો.
જેના કારણે આણંદ આવવા માટે ટુંકો માર્ગ હોવા છતાં લોકોને જનતા ચોકડી સુધી 2 કિમી ફરીને આવવું પડતું હતું. નવો રોડ બનતા મોગરી વાસીઓનો અવરજવરમાં રાહત રહેશે. જ્યારે શાસ્ત્રી બાગ પાસે આવેલ રોડની બંને બાજુ પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમજ આગામી દિવસોમાં વિકાસના કામો ખાતમુહુર્ત કરવામાં આવનાર છે.