ઉમરેઠ પાસે ફોરલેન હાઇવે પર અકસ્માતોની વૃદ્ધિ: કપચી-મેન્ટલના ઢગલાઓ બન્યા જોખમ
આણંદ: નડિયાદ-ડાકોર ચાર માર્ગીય હાઇવેની કામગીરી દરમ્યાન ઉમરેઠ નજીકની ઓડ ચોકડીથી સારસા સુધી ફોર લેન હાઇવેની કામગીરી થઇ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓડ ચોકડી હાઇવેની કામગીરીમાં રોડની બાજુમાં કપચી-મેન્ટલના પથ્થરોના ઢગલા કરાયા છે. જેના કારણે છેલ્લા બે માસમાં ખાસ કરીને ટુ વ્હીલરો સ્લીપ ખાઇ ગયાના, અકસ્માતના બનાવો બની રહ્યા છે. અવરજવરના મુખ્ય માર્ગને અડીને આવેલ આ રસ્તાને સલામત બનાવવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ થવા પામી છે.
ઉમરેઠમાંથી હાઇવે બનાવવાની કામગીરી અંગે સ્થાનિકો, દુકાનદારોના જણાવ્યાનુસાર સાઇન બોર્ડ કે બેરિકેડ મૂકયા વિના જ રસ્તો બંધ કરીને કામગીરી હાથ ધરાતા અગાઉ પારાવાર પરેશાનીભરી સ્થિતિ ઉદ્દભવી હતી. તેમાંયે ડાયવર્ઝન આપેલ માર્ગ પર ખાડા-ટેકરાવાળો હોવાથી ખાસ કરીને તહેવારો ટાણે આ માર્ગ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. અન્ય વિસ્તારોના વાહનચાલકોની સાથોસાથ ઉમરેઠ શહેરના રહિશોને પણ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઇને બહાર નીકળવું કે શહેરમાં પરત જવામાં મુશ્કેલભરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ઉમરેઠથી નડિયાદ તરફેનો બંને તરફેનો આશરે ૧૯ કિ.મી.નો આરસીસી રોડ બની જવા સાથે વાહન વ્યવહાર પણ શરુ થઇ ગયો છે. પરંતુ ઓડ ચોકડી, થામણા ચોકડી સહિતના વિસ્તારમાં આરસીસી રોડની બાજુમાં કપચી અને મેન્ટલના પથ્થરોના કારણે વાહનચાલકોને મુશ્કેલી થઇ રહી છે. ખાસ કરીને ઓડ ચોકડીએથી ઓડ તરફના રસ્તે વળનાર વાહનચાલકને ગ્રીટ, મેન્ટલ પથ્થર અને કપચીભર્યા માર્ગથી જોખમી રીતે પસાર થવું પડે છે. અગાઉ અનેક ટુ વ્હીલરના અકસ્માત થયા હતા. આજે પણ વધુ એક ટુ-વ્હીલરચાલક સ્લીપ ખાઇ ગયાનો બનાવ બન્યો હતો. માર્ગ-મકાન વિભાગ દ્વારા સત્વરે રોડની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ થવા પામી હતી.