સિલિકોસિસ પીડિતો માટે વળતર અને ન્યાયની માગ: હાઇકોર્ટમાં ૧૯ વિધવાઓની અરજી
ખંભાત સહિત રાજયના થાનગઢ, રાજકોટ, ધ્રાંગધ્રા,મોરબી સહિતના સ્થળોએ અકીક, સીરામીક, પથ્થરમાંથી મૂર્તિ સહિતના વ્યવસાયોમાં હજારો કામદારો કામ કરે છે. આ ફેકટરીઓમાં કામ કરતા કારીગરોના શ્વાસમાં સિલિકા ડસ્ટ જવાથી ફેફસાંમાં સિલિકોસિસ થવાથી અનેક કામદારોના મૃત્યુ નીપજયા હતા. મૃતકોના પરિવારોને યોગ્ય વળતર માટે તે માટે પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટરના ડો.જગદીશ પટેલ વર્ષોથી કામ કરી રહ્યા છે. ગત ૧૪ માર્ચ,ર૦ર૪ના રોજ તેમની સંસ્થા અને ૧૯ વિધવા મહિલાઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી થઇ રહી છે.અરજદારોએ જણાવ્યું હતું કે, અરજદાર ૧૯ મહિલાઓના પતિ અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા હતા. જેમના વર્ષ ર૦૦૮થી ર૦ર૧ દરમ્યાન સિલિકોસિસ બિમારીથી મૃત્યુ થયા હતા.
ગુજરાત સરકારના ર૦૧પના ઠાવ મુજબ મૃતકના પરિવારને ફકત એક લાખ રુપિયા જ વળતર મળે છે. જયારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ત્રણ લાખ રુપિયા વળતર આપવાનું થાય છે. વધુમાં મૃતકના પરિજનોએ વળતર મેળવવા માટે ૯૦ દિવસમાં અરજી કરવી પડે છે. જયારે વર્કમેન કોમ્પેન્સેશન એકટ મુજબ બે વર્ષ સુધીની મુદ્દત હોય છે. સુપ્રીમ કોર્ટે ર૦૦૭થી ર૦૧૭ સુધીમાં અલગ અલગ હુકમ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના ર૦૧૬-૧૭ વચગાળાના હુકમ મુજબ સિલિકોસિસથી મૃત્યુના કેસમાં ૩ લાખ રુપિયા વળતર આપવું પડે. આ માટે અરજદારોએ સક્ષમ ઓથોરીટી સમક્ષ અરજી કરતા અમુક અરજદારનો રાજય સરકારના વર્ષ ર૦૧પના પરિપત્ર મુજબ એક લાખનો જ કલેઇમ મંજૂર કરાયો હતો. રાજય સરકારના ઠરાવને સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભમાં મોડીફાઇડ કરવાની જરુર છે. રાજય સરકારના ઠરાવને અરજદાર મહિલાઓએ ચેલેન્જ કર્યો છે. અરજદાર મહિલાઓના પતિઓને પથ્થર ક્રશિંગ ફેકટરીમાં કામ કરતા સિલિકા ડસ્ટ શ્વાસમાં જવાથી ફેફસાંમાં સિલિકોસિસ થયો હતો. સુપ્રીમ કોર્ટનો હુકમ તમામ રાજય માટે એકસરખો લાગુ પડે છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર ચીફ લેબર કમિશનને જવાબ રજૂ કરવા હૂકમ કર્યો છે. જેમાં જે મજૂરો હાલ સિલિકોસિસથી પીડાઇ રહ્યા છે તેમના માટે કોઇ વ્યવસ્થા છે કે કેમ તે અંગે જવાબ માંગ્યો છે. આ અંગે વધુ સુનાવણી જૂન માસમાં યોજાશે.
નેશનલ હ્યુમન રાઇટ કમિશને અઠવાડિયું સર્વ કરીને રિપોર્ટમાં દર્શાવેલ ભલામણ બાબતે સરકારે કશું કર્યુ નથી : ડો.જગદીશ પટેલ, ડરદઈ સંસ્થા
અકીક સહિત પથ્થરના વ્યવસાયમાં જોડાયેલા કામદારો માટે કામ કરતી સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટરના ડો.જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન (રાષ્ટ્રીય માનવાધિકાર પંચ)ની ટીમ ર૦૧પમાં એક અઠવાડિયા સુધી રોકાઇને સિલિકોસિસ રોગનો ભોગ બનતા કામદારો અને તેમના પરિવારજનો અંગે સર્વ કર્યો હતો. નેશનલ હ્યુમન રાઇટ કમિશન મુજબ સિલિકોસિસથી મૃત્યુ પામનારના પરિવારને ૩ લાખ રુપિયા વળતર આપવું પડે અને પુન:વસન અંગે કામ કરવું પડે. તેના ર૪ પાનના અહેવાલમાં સિલિકોસિસથી મૃતકના પરિવારજનો માટે પુન:વસન પોલીસી બનાવવા સહિતની કરેલ ભલામણ બાબતે સરકારે કશું કર્યુ નથી. જયારે આ પ્રકારની પોલીસી રાજસ્થાન, ઝારખંડ, પં.બંગાળ વગેરે રાજયોમાં અમલી છે. સુપ્રિમ કોર્ટે ર૦૧૭થી સિલિકોસિસથી મૃતકના પરિવારજનોને ૩ લાખ વળતર ચૂકવવાનો હૂકમ કર્યો છે. ર૦૧૭થી ર૦ર૪ વચ્ચેના સમયગાળામાં રાજયમાં અંદાજે ૧૦૦ જેટલા કામદારોના મોત થયા હતા. જેમાં ખંભાત, રાજકોટ, મોરબી, જંબુસર, થાનગઢ વગેરેનો સમાવેશ થાય છે. સુપ્રિમના નિર્દેશ મુજબ મૃતકના વારસદારોને ૪ લાખ વળતર અને પુન:વસન માટે આયોજન કરવામાં આવે તેવી સંસ્થા દ્વારા માંગ કરવામાં આવી છે.