સમયસર જવાબ ન આપવાથી ૧.૫૦ લાખ તિરસ્કાર કેસો પેન્ડિંગ: કાનૂન મંત્રાલયની ચિંતા
કેન્દ્રીય કાયદા મંત્રાલયે અન્ય મંત્રાલયોને સૂચનાઓ જારી કરી છે. જેમાં કોર્ટને અવમાનના (અનાદર)પેન્ડિંગ કેસોમાં સમયસર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જેથી તિરસ્કારની કાર્યવાહી અટકાવી શકાય. કેન્દ્ર સરકારને લગતા લગભગ ૧.૫૦ લાખ તિરસ્કારના કેસ દેશભરની અદાલતોમાં પેન્ડિંગ છે.
મંત્રાલયે કહ્યું કે મંત્રાલયો અને તેમના વિભાગોમાં કેસ સંભાળતા ઘણા અધિકારીઓ પાસે કાયદાના ક્ષેત્રમાં કોઇ યોગ્યતા નથી. આનાથી કાયદાકીય સમજનો અભાવ અને ન્યાયિક સૂચનાઓનો જવાબ આપવામાં વિલંબ થાય છે. આ જ કારણ છે કે વિભાગના વડાઓ સામે કેસ કરવામાં આવે છે.
વાસ્તવમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં લેખિત જવાબ દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કોર્ટના આદેશોને લાગુ કરવાની જવાબદારી સંબંધિત મંત્રાલયો અને વિભાગોની છે. મંત્રાલયે નિર્દેશ આપ્યો કે તમામ મંત્રાલયોએ નોડલ ઓફિસરની નિમણૂક કરવી જોઇએ. આ અધિકારી જોઇન્ટ સેક્રેટરીના રેન્કથી નીચેનો ન હોવો જોઇએ. તેને કેસના સંચાલનની જવાબદારી સોંપવી જોઇએ. નોડલ ઓફિસર પાસે એલએલબીની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય તેની પાસે ઉચ્ચ શિક્ષણ હોવું જોઇએ અને તે ન્યાયિક નિષ્ણાત પણ હોવો જોઇએ. કાયદાકીય મામલાઓનો સામનો કરવા માટે મંત્રાલયમાં નિયામક (કાયદો), નાયબ સચિવ (કાયદો)/અધિક સચિવ (કાયદો)ની જગ્યાઓ ઉભી કરવામાં આવે. કાયદા મંત્રાલયના નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે સંસાધનોની અછતને કારણે મંત્રાલયો પાસે કેસ સંભાળવાની મર્યાદિત ક્ષમતા છે. મોટાભાગના મંત્રાલયો અને વિભાગો પાસે કાનૂની સેલ નથી. વહીવટીતંત્ર અથવા તકનીકી વિભાગ દ્વારા બાબતોનું સંચાલન કરવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે કેટલીકવાર ન્યાયિક નિર્ણયો અને આદેશોનું પાલન ન કરવા બદલ સરકારી અધિકારીઓ સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. બહેતર મોનિટરિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને આને અટકાવી શકાય છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જાન્યુઆરી ૨૦૨૫માં કહ્યું હતું કે હાલમાં દેશની અદાલતોમાં ૫ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. આના ઉકેલ માટે ‘વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ઘતિ’(એડીઆર) સિસ્ટમ વિકાસાવવામાં આવી છે. આ સિસ્ટમમાં આર્બિટ્રેશન, મધ્યસ્થી અને લોક અદાલત જેવા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ૧ જુલાઇ, ૨૦૨૪થી ભારતીય ન્યાયિક સંહિતા (આઇપીસીની જગ્યાએ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (સીઆરપીસીની જગ્યાએ) અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ ત્રણ નવા કાયદા અમલમાં આવશે.