ભારતના ૧૮ એરપોર્ટ બંધ..૪૩૦ ફ્લાઈટ કેન્સલ
પાકિસ્તાન તરફથી કોઈપણ વળતા હૂમલાનો સામનો કરવા ભારતે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. જે હેઠળ દેશના ૧૮ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.
જો તણાવની સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા કોઈપણ પલટવારનો જવાબ આપવા માટે ભારત સંપુર્ણપણે તૈયાર છે. અને સુરક્ષાનો ધ્યાનમાં રાખીને સરકારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ૧૮ એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. જેમાં શ્રીનગરના એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યાદીમાં લેહ, જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, પઠાણકોટ, જોધપુર,શિમલા, ધર્મશાળા, જેસલમેર અને જામનગરનો પણ સમાવેશ થાય છે.
ભારતની ત્રણેય સેનાઓ દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી એરપોર્ટ બંધ થવાને કારણે કેટલીક ફ્લાઈટસ પર સીધી અસર જોવા મળી શકે છે. ફલાઈટરડાર-૨૪ મુજબ અત્યાર સુધીમાં લગભગ ૪૩૦ ફલાઈટસ રદ કરવામાં આવી છે. ફલાઈટ્સ રદ કરવાના મામલે ઈન્ડિગો એરલાઈન્સ સૌથી વધારે રદ કરવામાં આવી હતી જેમાં લગભગ ૧૬૦ ફલાઈટ્સ રદ કરવામાં આવી હતી.
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ : પીએમ મોદી
પહેલગામ આતંકી હૂમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે, આ આખા દેશ માટે ગર્વની પળ છે. ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, આખા દેશને તમારા પર ગર્વ છે. વડાપ્રધા નરેન્દ્ર મોદીએ પહેલગામ હૂમલાનો બદલો લેવા હાથ ધરેલા ઓપરેશનને સિંદૂર નામ આપ્યું હતું. આ નામ પહેલગામ હૂમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને અને તેમની પત્નીઓને સમર્પિત હતું. તેમન ન્યાય આપવાના ઈરાદે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું.
આતંકી ઠેકાણા પર ભારતનો હવાઇ હૂમલો
-પીઓકેમાં પહેલું લશ્કર તાલીમ કેન્દ્ર સવાઇ નાલા મુઝફ્ફરાબાદમાં હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હૂમલાના આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી. -સૈયદના બિલાલ કેમ્પ મુઝફ્ફરાબાદ ખાતે શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં ટકી રહેવાની તાલીમ આપવામાં આવી હતી. -કોટલી ગુરપુર કેમ્પ લશ્કરનો છે. ૨૦૨૩માં પૂંછમાં યાત્રાળુઓ પર હૂમલો કરનારા આતંકીઓને અહીં તાલીમ આપવામાં આવી હતી. -બર્નાલા કેમ્પ ભીમ્બર, અબ્બાસ કેમ્પ કોટલી ખાતે શસ્ત્રોનું સંચાલન. તે નિયંત્રણ રેખાથી ૧૩ કિમી દૂર છે. આત્મઘાતી બોમ્બરો તૈયાર થતા હતા. -સરજલ કેમ્પ સિયાલકોટ. માર્ચ ૨૦૨૫માં આતંકીઓને પોલીસ કર્મચારીઓને મારવા માટે અહીં તાલીમ આપવામાં આવી હતી. -મહમૂના જયા કેમ્પ સિયાલકોટમાં એક ખૂબ મોટો હિઝબુલ કેમ્પ હતો. આ કઠુઆમાં આતંકવાદનું નિયંત્રણ કેન્દ્ર હતું. પઠાણકોટ હુમલાનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું. -મરકડ તૈયબા મુરીડકેમાં એક આતંકવાદી છાવણી છે. અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને અહીં તાલીમ આપવામાં આવી હતી. -મરકઝ સુભાનલ્લાહ ભાવલપુર જૈશનું હેડકર્વાટર હતું. ભરતી અને તાલીમ આપવામાં આવી. મોટા અધિકારીઓ અહીં આવતા હતા.કોઇ નાગરિક જાનહાનિના અહેવાલ નથી, અમે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા નથી.
અમે સરકાર અને સેનાની સાથે : રાહુલ – ખડગે
રાહુલ ગાંધીએ કહ્યું – અમે સશસ્ત્ર દળોને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અમારો સંપૂર્ણ ટેકો છે. અમારા સૈનિકોને સંપૂર્ણ સમર્થન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – દેશની સેનાની બહાદુરીને સલામ. અમે તેમની સાથે ખભા મિલાવીને ઉભા છીએ. અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં રહેલા ઠેકાણાઓ સામે હિંમતભેર કાર્યવાહી કરી. પહેલગામના આતંકવાદી હૂમલાના દિવસથી કોંગ્રેસ સેના અને સરકારની સાથે ઉભી હતી.
મને આશા છે કે આ ખૂબ જ જલદી સમાપ્ત થશે : ટ્રમ્પ
પાકિસ્તાનમાં ભારતીય હૂમલાઓ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલી ટિપ્પણી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલગામ હૂમલાને શરમજનક ગણાવ્યો અને કહયું કે મે ઓવલના દરવાજામાં પ્રવેશતાની સાથે જ તેના વિશે સાંભળ્યું. મને લાગે છે કે ભૂતકાળની કેટલીક ઘટનાઓના આધારે અમે જાણતા હતા કે કંઈક થવાનું છે. તેઓ ઘણા સમયથી લડી રહ્યા છે. જો તમે તેના વિશે વિચારો છો, તો તેઓ દાયકાઓ અને સદીઓથી લડી રહ્યા છે. મને આશા છે કે આ ખૂબ જ જલદી સમાપ્ત થશે.