દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે 4 માળની ઈમારત ધરાશાયી, 4 લોકોના મોત, 10થી વધુ દટાયા
ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે હજુ પણ 10થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.
આ દુર્ઘટના રાત્રે 3 વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં એડિશનલ ડીસીપી સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 10થી વધુ લોકોને બચાવાયા છે જ્યારે અન્ય 10થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.
એનડીઆરએફ, ડૉગ સ્કવૉડ અને દિલ્હી પોલીસ તથા ફાયર વિભાગની ટીમને રાહત બચાવની કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.