કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઈનોવેટિવ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે સફળ આઈડિયા માટે જાણીતા છે. તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે, સરકારે નાગપુરમાં ટોઈલેટનું પાણી રિસાયકલ કરી રૂ. 300 કરોડની કમાણી કરી છે. આ સાથે તેમણે વોટર રિસાયક્લિંગ પર ભાર મૂક્યો છે.
નીતિન ગડકરીએ જણાવ્યું કે, વોટર રિસાયક્લિંગનો પ્રથમ સફળ પ્રોજેક્ટ મથુરામાં પૂરો થયો હતો, ત્યારે હું જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી હતો. 2017થી 2019 દરમિયાન પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. જેમાં મથુરા શહેરના ગંદા પાણીને રિસાયકલ કરી તેને ઈન્ડિયન ઓઈલની મથુરા રિફાઈનરીમાં રૂ. 20 કરોડમાં વેચ્યું હતું.
આ પ્રોજેક્ટમાં સરકારે 40 ટકા અને રોકાણકારોએ 60 ટકા રોકાણ કર્યું હતું. ત્યારે મથુરામાં 90 એમએલડીનો કાંપ હતો. આ પ્રોજેક્ટમાં પાણીને શુદ્ધ કરી તેને મથુરા રિફાઈનરીને વેચ્યું હતું. મથુરા રિફાઈનરીને અમે તેના પાણી માટે થતાં ખર્ચ કરતાં સસ્તા દરે પાણી વેચ્યું હતું.
ગડકરીએ જણાવ્યું હતું કે, મથુરા રિફાઈનરી માટે અમે રૂ. 20 કરોડમાં રિસાયક્લ્ડ વોટર પૂરુ પાડ્યું હતું. જે યુપી સરકાર પાસેથી વાર્ષિક રૂ. 25 કરોડના ખર્ચે પાણી ખરીદી રહી હતી. અમે ટોઈલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડ કમાતા હતાં. દરેક શહેરમાં જો પાણી રિસાયકલ કરી ઉદ્યોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો જળ બચાવોના મિશનને વેગ મળી શકે છે.