“મારું ગામ, સમરસ ગામ”: આણંદ જિલ્લામાં રાજકીય દોડધામ શરૂ
આણંદ : આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી હવે રાજકિય રંગ પકડી રહી છે જિલ્લા ભાજપના તમામ ધારાસભ્યો હવે ‘મારું ગામ સમરસ ગામ’ બનાવવા ગામડાઓમાં દોડધામ કરી રહ્યા છે અને રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ તથા અનુદાનની જાહેરાતો કરીને સમરસ ગ્રામ પંચાયતના ટાર્ગેટ પુરા કરવામાં ગામડાઓમાં ફરતા નજરે પડી રહ્યા છે.
સામા પક્ષે કોંગ્રેસ સમથત ઉમેદવારો અંદરખાન સમરસના સ્થાને ગ્રામ પંચાયતની ચુંટણી યોજાય તે માટે ખાટલા બેઠકો યોજી રહ્યા છે. કોંગ્રેસના સમથત હોય તેવા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આગામી સમયમાં આવનાર નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લિટમસ ટેસ્ટ બનનાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હવે ભાજપના ધારાસભ્યોના સીધા હસ્તક્ષેપથી ચૂંટણી રસપ્રદ બની રહી છે. ભાજપના બોરસદ ખંભાત પેટલાદ ઉમરેઠ સોજીત્રા આણંદ સહિતના ધારાસભ્ય તથા સાંસદ દ્વારા સમરસ ગ્રામ પંચાયત બનાવવા માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ તથા વિવિધ સુવિધાઓ માટે જરૂરી અનુદાનની જાહેરાત કરતા હવે પંચાયતની ચૂંટણીઓમાં નવો રાજકિય રંગ લાગી ગયો છે. વિધાનસભા વિસ્તારના ભાજપી ધારાસભ્યો હવે એસી ઓફિસો મોથી બહાર નીકળીને ગામડામાં ફ રી રહ્યા છે અને સમરસ ગ્રામ પંચાયત બનાવવા માટે ખાટલા બેઠકો યોજીને ટાર્ગેટ પૂરો કરવાની કામગીરી કરતા હોય એવું ગ્રામ્ય સ્તરેથી ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ત્રીજા દિવસે ઉમેદવારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો જેમાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે ૨૨ તથા સભ્યપદ માટે ૩૨ ઉમેદવારી પત્ર ભરાયા હતા તેમ જ પેટા ચૂંટણીમાં માટે સરપંચ પદ માટે એક ફોર્મ અને સભ્યપદ માટે બે ફોર્મ ભરાયા હતા.
આંકલાવ તાલુકામાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી ભાજપની મારું ગામ સમરસ ગામની યોજના ને નિષ્ફળ કરવા માટે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો દ્વારા અંદરખાને મોટા ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે જેથી મોટાભાગની પંચાયતોમાં ચૂંટણીઓનો જંગ જામે એવો માહોલ સર્જાયો છે. જ્યારે બોરસદ વિધાનસભામાં ભાજપના ત્રણથી વધુ ગુ્રપ હાલ ચૂંટણીઓમાં સક્રિય હોય સમરસ યોજના ભાજપને ભારે મહેનત કરવી પડશે તેવું ગ્રામ્ય સ્તરેથી જાણવા મળી રહ્યું છે.
સોજીત્રા તાલુકાનું મેઘલપુર ગામ પ્રથમ સમરસ (બિનહરીફ) જાહેર થયું છે.જે અંતર્ગત મેઘલપુર ગ્રામ પંચાયત ખાતે માટીના કુંભમાં ચીઠ્ઠીઓ નાખીને તેનો વિશેષ ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ સરપંચ તરીકે સંજયભાઈ છત્રસિંહ જાદવ ની ચીઠ્ઠી નીકળી હતી. જેથી તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે બીજી ચીઠ્ઠીમાં શાંતિલાલ એમ જાદવનું નામ નીકળતા તેમને ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.