નડિયાદમાં કોલેરાનો કહેર: દર્દીઓની સંખ્યા ૧૦૦ પાર
નડિયાદ : નડિયાદના અમદાવાદી દરવાજાના બે કિ.મી. વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. તંત્રએ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ તો લાદી દીધા છે પરંતુ, પાણીનું લિકેજ શોધવા સિવાય તંત્રએ કોઈ નક્કર કામગીરી કરી જ નથી તેમજ કોઈ ઉચ્ચ અધિકારીઓ પરક્યા પણ નહીં હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે નડિયાદમાં ઝાડા- ઉલટીના દર્દીઓની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
નડિયાદના અમદાવાદી દરવાજા બહાર શાંતિ ફળિયું, ઓમનગર સોસાયટી અને ઠાકોરવાસ સહિત આસપાસના વિસ્તારો ઝાડા-ઉલટીની ચપેટમાં આવી ગયા છે. એક શંકાસ્પદ કોલેરા પોઝિટિવ મળતા તંત્રએ બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે. પરંતુ આ પછી આગળ શું પ્રગતિ છે, પ્રતિબંધોની અમલવારીથી માંડી અને આ વિસ્તારની પરિસ્થિતિ તપાસવા માટે મનપાના કોઈ ઉચ્ચ અધિકારીઓ ફરક્યા નથી.
માત્ર કેટલાક કર્મચારીઓ અને મજૂરો પાસે ખોદકામ કરાવી અને પાણીનું લીકેજ શોધવા સિવાય તંત્રએ હજુ કોઈ નક્કર કામગીરી કરી નથી. બે કિલોમીટર વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બાદ ૧૦૦ મીટરના વિસ્તારમાં જ પાણીપુરીથી માંડી અન્ય નોનવેજ અને ખાણી-પીણીની લારીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે. આ વિસ્તારોમાં પારાવાર ગંદકી પણ જોવા મળી રહી છે. આ તમામ બાબતોમાં તંત્ર પાંગળું પુરવાર થઈ રહ્યુ છે. ગંદકીને સંપૂર્ણ રીતે દૂર કરવાને બદલે માત્ર પાવડરનો છંટકાવ કરાયો છે.
આ વિસ્તારોના રહીશો સાથે વાતચીત કરતા આજે પણ અનેક લોકો સારવાર માટે પહોંચ્યા હોવાનું જણાવ્યું છે. તો કેટલાક લોકો પ્રાથમિક સારવાર લઈ ઘરે આરામ પર હોવાનું પણ માલુમ પડયુ છે. ઝાડા-ઉલ્ટીના દર્દીઓનો આંકડો ૧૦૦ને પાર પહોંચ્યો છે.