નડિયાદમાં કોલેરાનો બીજો પોઝિટિવ કેસ નોંધાયો
નડિયાદમાં તાજેતરમાં કોલેરાનો એક કેસ મળી આવતા અસરગ્રસ્ત વિસ્તારથી બે કિ.મી.ના એરિયા માટે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર સહિત મનપાની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
દરમ્યાન શહેરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયાનું જાણવા મળે છે.જ ેમાં સુરતથી પરત ફરેલા એક વ્યકિતનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ દર્દીને શહેરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તંત્રના જણાવ્યાનુસાર આ દર્દી સુરત ખાતે રહેતા પત્નીને મળવા ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતુંક ે, ચેપનું મૂળ સુરત હોઇ શકે છે. જયારે શહેરના ઓમનગર સોસાયટી, ભીલવાસ, કબ્રસ્તાન ચોકડી, ઠાકોરવાસ અને શાંતિનગર વિસ્તારમાં દૂષિત પાણીના કારણે છેલ્લા ૪ દિવસમાં સરકારી રેકોર્ડ મુજબ પ૦ કેસ નોંધાયા છે.
શહેરમાં રોગચાળાની સ્થિતિ વધુ ન વકરે તે માટે મનપા દ્વારા આરોગ્ય, ડ્રેનેજ, પાણી પુરવઠા, દબાણ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોને દોડતી કરવામાં આવી છે. વધુમાં નાગરિકોને બહારનો બિનઆરોગ્યપ્રદ ખોરાક, બરફના ગોળા અને સરબત સહિતની ખાણીપીણી ન આરોગવા સૂચના આપવામાં આવી છે. મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા ૬ ટયુબવેલ અને ૩ પાણીની ટાંકીઓમાં સુપર કલોરીનેશન કરીને પાણી આપવામાં આવી રહયું છે. ઝાડા-ઉલ્ટીના કેસો મળી આવ્યા છે તે વિસ્તારોમાં પાણીની લાઇનોનું ચેકીંગ, લીકેજની મરામત તેમજ બેકટેરિયોલોજીકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વધુમાં રોગચાળાના શંકાસ્પદ સહિતના વિસ્તારોની ગટર લાઇનની સફાઇ તેમજ ઉભરાતી ગટરોની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખુલ્લામાં ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા લારી-ગલ્લાવાળાઓને દૂર કરવામાં આવ્યા છે. આઇસ ફેકટરી અને પીવાનું પાણી સપ્લાય કરતા એકમોમાંથી પાણીનો ટેસ્ટ કરવા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રિપોર્ટના આધારે આવા એકમોને બંધ કરવા સહિતની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.