દિવ્યાંગ હોવા છતાં અદભૂત પ્રતિભા: સુરતનો 14 વર્ષીય પ્રિન્સ બોલે ગીતાના તમામ શ્લોકો
નડિયાદના વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં 90 વર્ષથી ચાલતા ગીતા જ્ઞાન પ્રચાર સત્રમાં એક વિશેષ વિદ્યાર્થીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સુરતના 14 વર્ષીય પ્રિન્સ દિલીપભાઈ મંત્રી, જે જન્મથી જ દિવ્યાંગ છે, તે ગીતાના તમામ 18 અધ્યાયના શ્લોકો કડકડાટ બોલે છે.
પ્રિન્સના હાડકા જન્મથી જ અત્યંત નાજુક છે અને તેને ખૂબ સંભાળની જરૂર પડે છે. આ મુશ્કેલી છતાં તેણે હિંમત ન હારતા ધોરણ 9 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.
કોરોના કાળ દરમિયાન ટીવી પર રામાયણ જોતા શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદથી પ્રભાવિત થઈને તેણે ગીતાજીના શ્લોકો શીખવાનું શરૂ કર્યું. આજે તે માત્ર ગીતાના શ્લોકો જ નહીં, પરંતુ સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પણ કંઠસ્થ જાણે છે. હવે તેણે વેદોનો અભ્યાસ પણ શરૂ કર્યો છે.
શ્રી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી ચાલતા આ સત્રમાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે. પ્રિન્સ તેના માતા-પિતા સાથે સુરતથી ખાસ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો છે. મહંત રામદાસજી મહારાજે તેની આ સિદ્ધિને બિરદાવતા તેને વિશેષ પુરસ્કારથી સન્માનિત કર્યો છે.