કપડવંજ ડેપોમાં કંડકટર પકડાયો, સસ્પેન્ડ કરીને ખંભાત મોકલાયો
કપડવંજથી વીરપુરની બસમાં કંડકટર નશો કરેલ હાલતમાં હોવાનો મુસાફરોએ હોબાળો કરતા એટીઆઇ સહિતની ટીમ દોડી ગઇ હતી. દરમ્યાન કંડકડર જાતે ૧઼૦૮ વાન બોલાવીને બિમાર હોવાનું કહીને વીરપુર આરોગ્ય કેન્દ્રમાં દાખલ થઇ ગયો હતો. આ મામલે કંડકટરને સસ્પેન્ડ કરીને ખંભાત મૂકવામાં આવ્યાનું કપડવંજ ડેપો મેનેજરે જણાવ્યું હતું.
મળતી વિગતોમાં કપડવંજ એસ.ટી.ડેપોની શિડયુલ લોકલ બસ કપડવંજ-વિરપુર લઇને ગત ૧૧મીએ ડ્રાઇવર દિનેશભાઇ પરમાર નીકળ્યા હતા. જયારે કંડકટર તરીકે તખતસિંહ ઝાલા ફરજ બજાવતા હતા. સાંજે બસ વીરપુર પહોંચી ત્યારે બસમાં સવાર મુસાફરોએ હોબાળો કરીને કંડકટર નશો કરેલ હાલતમાં હોવાની ફરિયાદ કરી હતી. જેથી અફડાતફડી થતા ડ્રાયવરે બસને વીરપુર બસ સ્ટેન્ડ પર જ ઉભી કરી દીધી હતી. આ મામલે જાણ કરતા બાલાસિનોરથી એટીઆઇ સહિતની ટીમ આવી પહોંચી હતી. દરમ્યાન કંડકટર તખતસિંહે ૧૦૮ ઇમરજન્સી વાનને ફોન કરીને વિરપુર આરોગ્ય કેન્દ્રમાં દાખલ થઇ ગયા હતા.
આ મામલે કપડવંજ ડેપો મેનેજર એમ.એમ.કલ્યાણીએ જણાવ્યુ ંહતું કે, આ ઘટનામાં મુસાફરોએ ફોન વિભાગના ડીસીને ફોન કરીને ફરિયાદ કરી હતી. જેથી બાલાસિનોર ડેપો મેનેજર સુધી મામલો પહોંચતા કાર્યવાહી હાથ ધરીને કંડકટરને સસ્પેન્ડ કરાયો છે, પરંતુ તે ઓર્ડર લેવા આવ્યો નથી. તેને ફોન કરતા તે બિમાર હોવાનું જણાવે છે. જો કે હાલ તેને સસ્પેન્ડ કરીને ખંભાત મોકલી દેવામાં આવ્યો છે.