નૌકાદળનું ‘સૂરત’ જહાજ ગુજરાતના હજીરા બંદર પર તૈનાત : યુદ્ઘજહાજો પણ એલર્ટ પર
પહેલગામમાં આતંકી હૂમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઇ ગઇ છે. એકતરફ ભારત સરકારે સેનાને તામ પ્રકારની છૂટ આપી છે, તો બીજીતરફ પાકિસ્તાન પણ યુદ્ઘના ભયથી એલર્ટ થઇ ગયું છે. ભારતીય નૌકાદળે સુરક્ષાના ભાગરૂપે ગઇકાલથી ગુજરાતના તટ નજીક મોટાપાયે સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. આ સૈન્ય અભ્યાસ ૩૦ એપ્રિલથી ત્રણ મે સુધી ચાલશે. આ દરમિયાન કોઇપણ અસામાન્યપ્રવૃત્તિને લઇને યુદ્ઘજહાજોને એલર્ટ પર રખાયા છે.
ન્યુઝ એજન્સીએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગ્સેથ સાથે ફોન પર વાત કરી હતી. જો કે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.
નૌકાદળનું જંગી જહાજ આઇએનએસ સુરત ગુરુવારે પહેલીવાર સુરત પહોંચ્યું. તેને ગુજરાતના હજીરા પોર્ટ પર તૈનાત કરવામાં આવ્યું છે. અહીં નેતાઓ અને નૌકાદળના અધિકારીઓએ તેનું સ્વાગત કર્યુ હતું. ભારતીય નૌકાદળએ તાજેતરમાં જ દૂર દૂર સુધીના ટાર્ગટ પર સટિક હૂમલાની તૈયારીના ભાગરૂપે મિસાઇલોનું ટેસ્ટિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન યુદ્ઘજહાજોથી અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કરી સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરાયું હતું. હવે ભારતીય નૌકાદળે અનેક પ્રકારના સૈન્ય અભ્યાસો શરૂ કરી દીધા અને તેમાં મિસાઇલ ફાયરિંગ અને યુદ્ઘાભ્યાસ સહિતની બાબતો સામેલ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હજુ વધુ સૈન્ય અભ્યાસો અને પ્રદર્શનો યોજવાની યોજના છે.ભારતીય કોસ્ટ ગાર્ડે પણ ગુજરાતના તટથી દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદ પાસે જહાજ તૈનાત કર્યા છે. અહીં દેખરેખ વધારવા માટે કોર્સટ ગાર્ડ અને નૌકાદળ સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારતીય નૌકાદળના પ્રવકતા સોશિયલ મીડિયા એકસ પર કહ્યું કે અભ્યાસનો મુખ્ય હેતુ લાંબા અંતરના સટીક આક્રમક હૂમલાઓ માટે પ્લેટફોર્મો, સિસ્ટમ અને ચાલક દળની તત્પરતા અને મનોબળ વધારવા માટેનો છે. ભરતીય નૌકાદળે અરબી સમુદ્રમાં યુદ્ઘજહાજો તૈનાત કર્યા છે. નૌકાદળની ક્ષમતા, તત્પરતા અને ભારતીય દરિયાઇ સરહદોની સુરક્ષા કરવાનો અભ્યાસનો મુખ્ય ઉદેશ્ય છે.
એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર ફરીથી ઓપરેશન માટે તૈયાર, સેના-વાયુસેના વર્ઝનને મંજૂરી
હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડએ જાહેરાત કરી છે કે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ) ધ્રુવને સેના અને વાયુસેના દ્વારા ઓપરેશનલ ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ખામી તપાસ (ડીઆઈ) સમિતિની ભલામણોના આધારે લેવામાં આવ્યો છે.અગાઉ, એએલએચ હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા અને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવેલી ટેકનિકલ ખામીઓને દૂર કર્યા પછી, હવે તેમને સલામત અને સંચાલન માટે યોગ્ય માનવામાં આવ્યા છે. એએલએચ ધ્રુવ એ સ્વદેશી રીતે વિકસિત હેલિકોપ્ટર છે જેનો ઉપયોગ ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ દ્વારા વિવિધ કામગીરી માટે કરવામાં આવે છે.