રખિયાલમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ ફરી વધી રહ્યો – હિંસક વીડિયો વાયરલ
રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે ગુજરાતની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં પોલીસ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. અમદાવાદની રખિયાલની એક સોસાયટીમાં 14 એપ્રિલ, સોમવારની રાતે અસામાજિક તત્ત્વોએ ફરી એકવાર હિંસક રીતે ઉત્પાત મચાવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેગા સિટી અમદાવાદમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી છતાં કોઇ ફરક પડતો નથી. ત્યારે અમદાવાદના અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અસામાજિક તત્ત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખા તત્ત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ઘર પર હુમલાની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્ત્વોનો ડર જોવા મળ્યો છે.
જાહેરમાં તલવાર જેવા ઘાતકી હથિયારો વડે હુમલાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે અને પોલીસ કાર્યવાહી થતી હોવા છતાં અસામાજિક તત્ત્વો કેમ સુધરતા નથી? લોકો સતત ભય અને ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
સમગ્ર કેસમાં રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટનાના આરોપી અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપી તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.