ભારતની કાર્યવાહીથી ફફડી ઉઠ્યુ પાકિસ્તાન: 24 કલાકમાં આતંકીઓના ઠેકાણાઓ ખાલી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે. ભારતે પણ પાકિસ્તાન સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પુલવામા જેવા આતંકવાદી હુમલા પછી ભારતનું આક્રમક વલણ હવે આતંકવાદીઓ પર ભારે પડી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અન્ય આતંકવાદી જૂથોએ ભારત તરફથી સંભવિત બદલો લેવાના ડરથી રાતોરાત તેમના મુખ્યાલય અને તાલીમ શિબિરો ખાલી કરી દીધા હતા.
પુલવામા બાદ પહેલગામ હુમલાએ ફરી એકવાર ભારતને હચમચાવી નાખ્યું છે. જવાબમાં, ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. આતંકવાદીઓ એલર્ટ થઈ ગયા છે અને તેમના ઠેકાણાઓ ખાલી કરી દીધા છે.
– 18 એકરમાં ફેલાયેલું જૈશનું બાવલપુર મુખ્યાલય, એક મોટું આતંકવાદી ઠેકાણું છે, તેને ખાલી કરવામાં આવ્યું છે
– ફક્ત બાવલપુર જ નહીં, પરંતુ પીઓકે અને ખૈબર પખ્તુનખ્વામાં ઘણા તાલીમ શિબિરો પણ આતંકવાદીઓથી ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
– ભારતીય હવાઈ હુમલાથી બચાવવા માટે જૈશ કમાન્ડરોને સુરક્ષિત ઘરમાં ખસેડવામાં આવ્યા છે.
ભારતે કરી આ કડક કાર્યવાહી
- સિંધુ જળ સંધિ સ્થગિત
- સરહદ સીલ કરી
- પાકિસ્તાની નાગરિકોના સાર્ક વિઝા રદ કરાયા
- અને પાકિસ્તાની લશ્કરી અધિકારીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો
આ પગલાંઓથી સ્પષ્ટ છે કે ભારત આતંકવાદ સામે કોઈ ઉદારતા નહીં દાખવે. આ જ કારણ છે કે આતંકવાદી સંગઠનો ભારતીય સરહદથી પીછેહઠ કરવાનો અને સુરક્ષિત છુપાવાનાં સ્થળો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સરહદ પાર ભયનું વાતાવરણ
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા સંભવિત હવાઈ હુમલાના ડરથી પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોન્ચ પેડ ખાલી થઈ રહ્યા છે, અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટા પાયે હિલચાલ જોવા મળી રહી છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે હવે આતંકવાદનો જવાબ શબ્દોથી નહીં પરંતુ કાર્યવાહીથી આપવામાં આવશે. આતંકવાદી સંગઠનોનો ગભરાટ એ વાતનો સંકેત છે કે ભારતના સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલા હવે તેમને એકલા નહીં છોડે.