આણંદ મનપાના કૃત્રિમ કુંડના ખોદકામમાંથી નીકળતી માટી હવે સવાલોના ઘેરામાં આવી છે!
આણંદ મનપા દ્વારા પ્રથમ વખત ગણેશ વિસર્જન માટે કરમસદના વિવાહ પાર્ટી પ્લોટ પાસે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કામ માટે રૂ.12 લાખથી વધુનો ખર્ચ થવાનો છે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તળાવો અને અન્ય જળાશયો ગણેશ વિસર્જનથી પ્રદૂષિત ન થાય તે માટે કૃત્રિમ કુંડ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ કુંડમાં આશરે 19 લાખ લીટર પાણી સમાઈ શકે તેવી ક્ષમતા રાખવામાં આવી રહી છે.
પરંતુ કુંડનું ખોદકામ શરૂ થતાં જ હવે એક અલગ જ મુદ્દો સામે આવ્યો છે.
કુંડમાંથી નીકળતી સેંકડો ટન માટીનું મોટા પાયે સગેવગે થઈ રહ્યું હોવાની ચર્ચા મનપા સંકુલમાં શરૂ થઈ છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ખોદકામમાંથી નીકળેલી માટી કેટલાક મળતિયાઓના સ્થળે ઠાલવવામાં આવી રહી છે અને તેની આડમાં રોકડી કરવાનો ખેલ ચાલી રહ્યો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
હવે સવાલ એ છે કે કુંડના ખોદકામમાંથી ખરેખર કેટલા જથ્થામાં માટી નીકળી?
આ માટી ક્યાં-ક્યાં લઈ જવાઈ?
કોની મંજૂરીથી લઈ જવાઈ?
અને માટીના જથ્થાનો કોઈ સત્તાવાર હિસાબ રાખવામાં આવ્યો છે કે નહીં?
રૂ.12 લાખથી વધુના ખર્ચે બની રહેલા આ કૃત્રિમ કુંડની માટી મામલે પારદર્શિતા કેમ ન દેખાઈ રહી?
મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે સારી પહેલ કરવામાં આવી છે, પરંતુ ખોદકામની માટી અંગે ઉઠી રહેલા સવાલોના જવાબ પણ હવે મનપાએ આપવા જરૂરી બન્યા છે.
માટી ક્યાં ગઈ અને તેના સગેવગે પાછળ ખરેખર કોનો ખેલ છે?
આ સવાલનો જવાબ હવે આણંદ મનપા તંત્રએ આપવાનો છે.