આણંદ: ગુજરાતના રાજકારણમાંથી અત્યારના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપે આ પ્રતિષ્ઠિત બેઠક પર પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ ગોવિંદભાઈ પરમારને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
પિતાના અવસાન બાદ પુત્રને સોંપાઈ જવાબદારી
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના દુઃખદ અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. હવે ભાજપ હાઈકમાન્ડે લોકોની સહાનુભૂતિ અને સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાને રાખીને ગોવિંદ પરમારના રાજકીય વારસાને આગળ ધપાવવા તેમના જ પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ
મહત્ત્વનું છે કે, આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. ઉમેદવારના નામની જાહેરાત થતા જ ઉમરેઠ પંથકમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આગામી પેટાચૂંટણીને લઈને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ આ બેઠક પર કોને પોતાના ઉમેદવાર બનાવે છે.