સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદમાં આવેલા રેલવે સ્ટેશનનું આધુનિકરણ પૂર્ણ થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરથી તેનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ સહિત રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનને એચજી-2 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેશન પર અનેક આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સ્ટેશન પર વિરાસતથી પ્રેરિત પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. મુસાફરો માટે છાયાદાર શેડ અને વિશાળ પ્રતીક્ષાલય બનાવાયા છે. દિવ્યાંગજનો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આધુનિક બુકિંગ કાર્યાલય, ડિજિટલ ડિસ્પ્લે અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે.
પ્લેટફોર્મ પર ટેક્ટાઈલ અને વોર્નિંગ ટાઈલ્સ લગાવવામાં આવી છે. દિવ્યાંગજનો માટે સુલભસાઇન બોર્ડ અને ઓછી ઊંચાઈવાળા નળ મૂકવામાં આવ્યા છે. સ્ટેશનને વધુ સુંદર બનાવવા માટે લેન્ડસ્કેપ ગ્રીન ઝોન અને આધુનિક લાઈટિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ તમામ સુવિધાઓથી સ્ટેશન વધુ સુરક્ષિત અને મુસાફર-મૈત્રીપૂર્ણ બન્યું છે.