રાજ્યમાં ઈંધણની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે ગૃહ રાજ્યમંત્રીહર્ષ સંઘવીએ નાગરિકોને સંબોધન કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર પાસે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી.
મંત્રીએ સોશિયલ મીડિયા પર ફેલાતી પાયાવિહોણી અફવાઓથી સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આવી ખોટી માહિતીના કારણે જ લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે, જેના કારણે પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ સર્જાઈ રહી છે.
તેમણે નાગરિકોને વિનંતી કરી છે કે પેનિકમાં આવીને પંપો પર ભીડ ન કરે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે. જરૂરી હોય ત્યારે જ ઈંધણ ભરાવવાનું સૂચન આપતાં તેમણે કહ્યું કે રાજ્યમાં ઈંધણ પુરવઠો નિયમિત અને પૂરતો છે.
સરકારે ફરી એકવાર ખાતરી આપી છે કે નાગરિકોને ઈંધણ બાબતે કોઈ મુશ્કેલી નહીં પડે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.