આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી થી શરૂ થનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની મુખ્ય પરીક્ષાઓના સુદ્રઢ આયોજનના ભાગરૂપે આણંદના બાકરોલ સ્થિત નોલેજ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિના અધ્યક્ષસ્થાને માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિએ જિલ્લામાં પરીક્ષા ભયમુક્ત, પારદર્શી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ સંચાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે શિક્ષણ નિરીક્ષક શ્રી હેમંત પટેલે પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન રાખવાની થતી જરૂરી તકેદારી તેમજ વહીવટી પ્રક્રિયાઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક ડૉ. રિયાઝ દિવાન સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકો અને પ્રાથમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.