ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સંગઠન અને ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ના નિયમને અનુસરી આણંદ જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા કિસાન મોરચાના કાર્યાલય મંત્રી વિકાસભાઈ પટેલને કરમસદ-આણંદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા આપવામાં આવેલી આ નવી જવાબદારીને લઈને સંગઠનમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.
ઉમેદવારી મળતા જ વિકાસભાઈ પટેલે નૈતિકતા દાખવી પોતાના કિસાન મોરચાના કાર્યાલય મંત્રી પદેથી સ્વૈચ્છિક રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલને સુપરત કર્યું છે. તેમના આ નિર્ણયને પાર્ટીના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે હવે તેઓ મનપા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી જનસમર્થન મેળવવા સક્રિય બનશે.