સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે જુનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પહેલી ફરિયાદ ગઈકાલે(17 ફેબ્રુઆરી) મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ઘર્ષણ બદલ નોંધાઈ હતી. ત્યારબાદ આજે બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે.
કીર્તિને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
મળતી માહિતી અનુસાર, વિવાદિત કીર્તિ પટેલ પર સાધુ-સંતોની લાગણી દુભાવવા અને તેને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.
ગઈકાલે પણ નોંધાઈ હતી ફરિયાદ
PI કે.જે મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરૂદ્ધ ગેરવર્તન બદલ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ નાગા સાધુઓ સાથે દેખાઈ રહી છે. જૂના અખાડામાં સાધુ સંતો સાથે તેણે વીડિયો બનાવ્યો છે. જેમાં તે ઓમ નમો નારાયણ અને હર હર મહાદેવના નાદ લગાવી રહી છે. ત્યારે કીર્તિ પટેલ સામે ફાટી નીકળેલા સાધુ સંતોના રોષ વચ્ચે વધુ એક વીડિયો સામે આવતા આ ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે.