મધ્યપ્રદેશના જ્બલપુર જિલ્લામાં આવેલ બરગી ડેમમાં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં 31 પ્રવાસીઓને લઈ જતું ક્રૂઝ શિપ અચાનક પાણીમાં ડૂબી ગયું. ઘટના સમયે ક્રૂઝમાં કુલ 31 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ ચાર લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે આશરે 18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક મુસાફરો લાપતા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને લઈ બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે।
જિલ્લા કલેક્ટર રાઘવેન્દ્ર સિંહએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે બચાવ ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને SDRF સહિતની ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર પણ હાજર રહી બચાવ કામગીરીમાં સહાય કરી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।
પ્રાથમિક માહિતી મુજબ, ક્રૂઝ શિપ નર્મદા નદીના ઊંડા પાણીમાં હતું ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. જોરદાર પવન અને વાવાઝોડાના કારણે ક્રૂઝ પોતાનું સંતુલન ગુમાવી બેઠું અને થોડા જ સમયમાં પલટી જઈ પાણીમાં ડૂબી ગયું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પવન એટલો જોરદાર હતો કે ક્રૂઝ ચાલક તેને નિયંત્રિત કરી શક્યો નહોતો।
હાલમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને લાપતા લોકોની શોધખોળ માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે।