ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 10 માર્ચ, મંગળવારના રોજ ભારતીય ટીમ માટે ₹131 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ તેમજ પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને ₹125 કરોડનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ વખતે તે રકમમાં ₹6 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
સતત બીજી વાર ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો
ભારતીય ટીમે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર ટાઈટલ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
T20 વર્લ્ડ કપમાં સૌથી સફળ ટીમ બન્યું ભારત
આ વિજય સાથે ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વખત (2007, 2024 અને 2026) આ ટ્રોફી જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે અત્યાર સુધી 2-2 વખત ખિતાબ જીત્યો છે.
BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ જીત ભારતીય ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ છે.