આણંદ, બુધવાર ::ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન આગામી તારીખ ૨૩મી એપ્રિલ ૨૦૨૬ ના ગુરૂવારના રોજ સવારે ૦૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી યોજાનાર છે.
આ ચૂંટણી અન્વયે ૧૧૧ ઉમરેઠ વિધાનસભાના ૪૬ ગામો ખાતે ૩૦૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ખાતે આજે તારીખ ૨૨મી એપ્રિલને બુધવારના રોજ ઓડ સ્થિત ડી.એમ. પટેલ આર્ટસ કોલેજ અને એસ.એસ પટેલ કોમર્સ કોલેજ ખાતે રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરથી ઇવીએમ સહિતનું ચૂંટણી અંગેનું તમામ સાહિત્ય અને સામગ્રી ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં રવાના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની આ પેટા ચૂંટણીમાં કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયેલા છે. લોકશાહીના આ પર્વમાં કુલ ૧,૩૪૮ મતદાન સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં ૩૩૭ પ્રિસાઈડીંગ ઓફીસર, ૩૩૭ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફીસર અને ૩૩૭ પોલીંગ ઓફીસર તેમજ ૩૩૭ મહિલા પોલીંગ ઓફીસર ફરજ બજાવશે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં આશરે ૧૫૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત છે અને ૧૯ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
આ ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ અને નિષ્પક્ષ રાખવા ઈવીએમ અને વીવીપેટ મશીનોનું પરિવહન કરતા ૭૩ વાહનો અને ૩૬ એસ.ટી. બસોને GPS દ્વારા ટ્રેક કરવામાં આવશે તથા ચૂંટણી પંચની સૂચના મુજબ તમામ ૩૦૬ મતદાન મથકો પર અંદર અને બહાર વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. ચૂંટણીલક્ષી ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર-૧૯૫૦ અને ઓડ ખાતેના કંટ્રોલ રૂમ નંબર-૦૨૬૯૨ ૨૯૮૦૭૧ જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીની મતગણતરી બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે આગામી તારીખ ૦૪ મે ના રોજ કરવામાં આવનાર છે.