ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉનાળાના વેકેશન અને કારખાનાઓમાં રજા જાહેર થતા પરપ્રાંતીય મુસાફરોની ભીડ બેકાબૂ બની ગઈ હતી. મુસાફરોની સંખ્યાની સરખામણીએ ટ્રેનોની અછતને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટેશન બહાર 3 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી ગઈ હતી અને અંદાજે 7000થી વધુ મુસાફરો બે ટ્રેનોમાં ચડવા માટે કલાકો સુધી રાહ જોતા રહ્યા હતા. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે અનેક લોકો ત્રાસી ઉઠ્યા હતા, જેમાં બે મુસાફરો બેભાન પણ થઈ ગયા હતા.
પીવાના પાણીની અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું, ત્યારે તરસ્યા મુસાફરો વચ્ચે બોટલો માટે ધક્કામુક્કી અને લૂંટાલૂંટ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન એક કરુણ ઘટનામાં એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ લઈને ટ્રેનમાં ચડવા માટે કલાકો સુધી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ભીડ કાબૂ બહાર જતા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
રેલવે ડીવાયએસપી દીપક ગૌડે મુજબ, જાહેર કરાયેલી ટ્રેનોની સરખામણીએ મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે અને વધારાની સ્પેશિયલ ટ્રેન અંગે તંત્ર વિચારણા કરી રહ્યું છે. જોકે મુસાફરોનો આક્ષેપ છે કે દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિ સામે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવતી નથી, જેના કારણે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ટ્રેનમાં જગ્યા મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.