તારાપુરની મોટી ચોકડી પર કલથીયા બગોદરા તારાપુર હાઇવે પ્રોજેક્ટ લિમિટેડ અને પરિવર્તન ટ્રસ્ટ, વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ રોડ સલામતી અને નાગરિક સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ તથા તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ વાહનચાલકોને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે ટ્રાફિક નિયમો દંડ માટે નહીં, પરંતુ અમૂલ્ય જીવન બચાવવા માટે બનાવવામાં આવ્યા છે.
કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, સીટ બેલ્ટ અને હેલ્મેટ ફરજિયાત પહેરવા, વાહનનું PUC પ્રમાણપત્ર સાથે રાખવું, ઓવરલોડિંગ ટાળવું તેમજ નંબર પ્લેટ અને અન્ય કાયદેસર નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ટ્રાફિક જાગૃતિને વધુ અસરકારક બનાવવા માટે વાહનચાલકોને માહિતી પત્રિકાઓ પણ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમની ખાસ વાત એ રહી કે ટ્રાફિક નિયમોનું પાલન કરતા જવાબદાર વાહનચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગ બદલ ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલથી લોકોમાં માર્ગ સલામતી પ્રત્યે સકારાત્મક ભાવના જાગૃત થતી જોવા મળી હતી.