આણંદ, શુક્રવાર :: મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તારાપુર તાલુકાના CMTC ખાતે CDPOશ્રીના માર્ગદર્શન હેઠળ બાળકોમાં કુપોષણ નિવારણ અર્થે એક વિશેષ જનજાગૃતિ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ખાસ કરીને SAM અને MAM શ્રેણીમાં આવતા બાળકોની માતાઓને પોષણક્ષમ આહાર અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી દ્વારા મળતા 'ટેક હોમ રેશન' (THR) નો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય, તે માટે નિષ્ણાતો દ્વારા લાઈવ વાનગી નિદર્શન યોજાયું હતું.
ટેક હોમ રાશન (THR) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવીને માતાઓને બતાવવામાં આવી હતી, જેથી બાળકો હોંશે હોંશે આ ખોરાક લઈ શકે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ શાકભાજી, કઠોળ, અનાજ અને મિલેટ્સ (શ્રી અન્ન) ને દૈનિક આહારમાં સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
CMTC ખાતે સારવાર લઈ રહેલા બાળકો તેમજ વિસ્તારના અન્ય કુપોષિત બાળકોની માતાઓને પ્રોત્સાહિત કરવા માટે 'પોષણ ટોપલી'નું વિતરણ કરવામાં આવ્યું હતું. જે માતાઓના બાળકો કુપોષિત છે, તેમને CMTC માં દાખલ કરી યોગ્ય સારવાર અપાવવા માટે જરૂરી વહીવટી અને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
અધિકારીઓ દ્વારા CMTC માં ૧૪ દિવસનો નિર્ધારિત કોર્સ પૂર્ણ કર્યા બાદ પણ બાળકની તબિયતમાં સતત સુધારો જળવાઈ રહે તે માટે તેને નિયમિતપણે આંગણવાડી કેન્દ્ર પર લઈ જવું અનિવાર્ય છે તેમ જણાવી આ બાબતે તમામ માતાઓને સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તારાપુર તાલુકાના સી.ડી.પી.ઓ. શ્રી, NNM (National Nutrition Mission) ના પ્રતિનિધિઓ, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ, મુખ્યસેવિકા તેમજ આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. ‘પરિવહન’ પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા આરટીઓ સેવાઓ પ્રભાવિત, સર્વર અપગ્રેડેશનની કામગીરી ચાલુ