સુરતમાં સ્વામિનારાયણ મંદિરના વોશરૂમમાં બે કોલેજિયન યુવતીઓના મોતના કેસને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે. આ મામલે ટેસ્લાના સીઈઓ અને Xના માલિક Elon Musk એ પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેમણે માત્ર એક શબ્દ “Yikes” લખીને ઘટનાને આઘાતજનક ગણાવી છે.
6 માર્ચે 18થી 20 વર્ષની વયની બે યુવતીઓ કોલેજ જવા નીકળી હતી પરંતુ ઘરે પરત ન ફરતાં પરિવારજનોે પોલીસમાં જાણ કરી હતી. તપાસ દરમિયાન બંનેનું લોકેશન સુરતના સ્વામિનારાયણ મંદિરમાં મળ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં બંને યુવતીઓ મંદિરના વોશરૂમમાં જતી જોવા મળી હતી, જ્યાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થળ પરથી એનેસ્થેટિક દવાઓની બોટલો અને સિરિન્જ પણ મળી આવી હતી.
પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીઓના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં આત્મહત્યા માટે કઈ દવાનો ઉપયોગ થઈ શકે તે અંગે માહિતી શોધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમની ગેલેરીમાં એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ પણ મળ્યો હતો, જેમાં એનેસ્થેટિક ઇન્જેક્શનથી જીવ આપવાની ઘટના દર્શાવવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.