સ્પાઇસજેટના મુસાફરો માટે ફરી મુશ્કેલી!

સ્પાઇસજેટના મુસાફરો માટે ફરી મુશ્કેલી!

સ્પાઇસજેટના મુસાફરો માટે ફરી મુશ્કેલી!

દિલ્હીના IGI એરપોર્ટ પર ઓપરેશનલ સમસ્યાઓના કારણે શનિવારે સ્પાઇસજેટની અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. કેટલીક ફ્લાઇટ્સ કલાકો મોડી પડી, તો કેટલીક રદ પણ કરાઈ. જેના કારણે સેંકડો મુસાફરો એરપોર્ટ પર પરેશાન થયા.


દિલ્હી એરપોર્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુસાફરોની માફી માંગી છે. એરપોર્ટનું કહેવું છે કે ગ્રાઉન્ડ સ્ટાફ અસરગ્રસ્ત મુસાફરોને જરૂરી મદદ આપી રહ્યો છે અને સ્પાઇસજેટ સાથે મળીને સ્થિતિ સંભાળવામાં આવી રહી છે.


પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ઓપરેશનલ સમસ્યા આખરે છે શું?

આ અંગે સ્પાઇસજેટ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી.


અને આ પહેલી ઘટના નથી.


15 સપ્ટેમ્બરે પણ દિલ્હીથી દુબઈ જતી સ્પાઇસજેટની બે ફ્લાઇટ્સમાં ભારે વિલંબ થયો હતો. એક ફ્લાઇટ લગભગ 30 કલાક, જ્યારે બીજી લગભગ 19 કલાક મોડે રવાના થઈ હતી. મુસાફરોનો ગુસ્સો એટલો વધ્યો કે લગભગ 200 મુસાફરોએ એરપોર્ટ પર વિરોધ પણ કર્યો હતો.


સ્પાઇસજેટ પહેલેથી જ નાણાકીય અને ઓપરેશનલ પડકારોમાંથી પસાર થઈ રહી છે. 3 સપ્ટેમ્બરે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું હતું કે સરકાર એરલાઇન સાથે સતત વાતચીત કરી રહી છે અને ફ્લાઇટ્સની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે.


બીજી તરફ, સમયસર ઉડાનના આંકડા પણ સ્પાઇસજેટ માટે ચિંતાજનક છે. જુલાઈમાં માત્ર 34.5 ટકા ફ્લાઇટ્સ જ નિર્ધારિત સમયે ઉડી હતી.


એટલું જ નહીં, જુલાઈમાં સ્પાઇસજેટનો સ્થાનિક એર પેસેન્જર માર્કેટ શેર 1.9 ટકાથી ઘટીને 1.6 ટકા થયો. એટલે કે એક જ મહિનામાં 0.3 ટકા પોઇન્ટનો ઘટાડો.


જુલાઈમાં સ્પાઇસજેટે આશરે 1.87 લાખ મુસાફરોને સેવા આપી, જ્યારે ઈન્ડિગોનો માર્કેટ શેર 67.4 ટકા, એર ઈન્ડિયા ગ્રુપનો 24 ટકા અને અકાસા એરનો 5.5 ટકા રહ્યો.


હવે સવાલ એ છે કે વારંવાર ફ્લાઇટમાં વિલંબ અને રદ થતી ફ્લાઇટ્સ વચ્ચે સ્પાઇસજેટ પોતાની કામગીરીને કેટલી ઝડપથી સુધારી શકશે?