PM મોદીએ આપ્યો સંકેત: પાકિસ્તાન સાથે યુદ્ધનું જોખમ કેટલું? સંરક્ષણ બજેટ પર કરી મોટી વાત

PM મોદીએ આપ્યો સંકેત: પાકિસ્તાન સાથે યુદ્ધનું જોખમ કેટલું? સંરક્ષણ બજેટ પર કરી મોટી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા દળોને સશક્ત અને આધુનિક બનાવવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સંરક્ષણ બજેટમાં 15%નો મોટો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. સંરક્ષણ બજેટ હવે 6.81 લાખ કરોડ રૂપિયાથી વધીને 7.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદીમાં મદદરૂપ થશે.


કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સજ્જ


પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને 'ઓપરેશન સિંદૂર'ની સફળતા વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 'આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે સાહસ અને સમર્પણ બતાવ્યું છે તેના પર આખા દેશને ગર્વ છે. 'ઓપરેશન સિંદૂર' એ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા માળખાગત સુધારાઓનું પરિણામ છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓ દ્વારા ભારત કોઈપણ પડકારનો સામનો કરવા સજ્જ છે.'


ઝડપથી વિકસતું ભારતીય અર્થતંત્ર


બજેટ 2026 અંગે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, 'અમારી સરકારનું બજેટ માત્ર ચોપડાના આંકડા નથી, પરંતુ તે દેશના વિકાસનું વિઝન છે.' તેમણે 'યહી સમય હૈ, સહી સમય હૈ'ના નારાને યાદ કરતા જણાવ્યું કે આજે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે જે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. ભારત અત્યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે.


મજબૂત આર્થિક સ્થિરતા અને વિકાસ


દેશના યુવા ધન વિશે ગૌરવ વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, 'વૈશ્વિક સ્તરે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આપણી પાસે વિશાળ અને કુશળ યુવા વસ્તી છે, જે અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ઓછા ફુગાવા અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.'