નડિયાદના સંતરામ રોડ પર સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણો ખડકાયાં
નડિયાદ : નડિયાદના સંતરામ રોડ પર માણેકચોક વિસ્તારમાં સરકારી જગ્યામાં ગેરકાયદે બે ભાઈઓએ ૬ જેટલા દબાણો ઉભી કરી સામ્રાજ્ય ઉભું કરી દીધું છે. અગાઉ પાલિકાએ ગેરકાયદે હોવાનું કહી નોટિસ પણ આપી હતી. છતાં પગલાં ના લેવાતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે મનપા કમિશનરને રજૂઆત કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
નડિયાદ શહેરના મુખ્ય બજાર સંતરામ રોડ પાસેના માણેક ચોકમાં અંદર પ્રવેશતા જ ગલીના અડધા ભાગને આંતરીને ગેરકાયદે એક પાન મસાલાનો પાક્કા ચણતરવાળો ગલ્લો બનાવી દેવાયો છે, તો તેની બિલકુલ સામે એક ઓફીસ જેવી જગ્યા ઉભી કરી દેવાઈ છે, જ્યાં હાલ પાણીપુરીની લારી ચલાવવા ભાડે આપવામાં આવી છે. આ તરફ ખાણી-પીણીની દુકાનોની પાછળ મલાવ તળાવની ઉપર પુરણ કરી અને ત્યાં શેડ મારી અને દબાણો કરી દેવાયા છે. બે ભાઈઓએ ૬ ગેરકાયદે દુકાનો- દબાણ ઉભા કરી પોતાની માલિકી હોવાના પણ કાગળો ઉભા કરી દીધા છે. અગાઉ તેની એક દુકાન તંત્રએ તોડી પાડી હતી. ગેરકાયદે બાંધકામ, દબાણો સંદર્ભે અગાઉ તત્કાલીન ચીફ ઓફિસરે માલિકોને નોટિસ પણ ફટકારી હતી.
બાદમાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારે ગેરકાયદે દબાણો દૂર કરવા મનપાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે. અગાઉના તત્કાલિન નગરપાલિા દ્વારા પોતાના અંગતહિતો સાચવવા નોટીસ આપી હોવાના આક્ષેપ કર્યા છે.
ત્યારે સરકારના હિતમાં આ દબાણો દૂર કરવાની માંગણી કરાઈ છે.