નડિયાદના મોકમપુરામાં પિતાએ પુત્રને માથામાં ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો
નડિયાદ તાલુકાના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની ક્રૂર હત્યા કરી હોવાની ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ છે. જોકે હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હત્યા પાછળ પુત્ર અવારનવાર સાસરીમાં જતો હોય તેમ જ કાકા સાથે સંબંધ રાખતો હોય તેની અદાવતમાં આ હત્યા થઈ હોવાની આશંકા ફરિયાદમાં સેવામાં આવી છે.
નડિયાદ તાલુકાના મોકમપુરા ખાતે રહેતા તારાબેન અને તેમના પતિ કમલેશભાઈ પ્રતાપસિંહ ચૌહાણ ખેતરમાં અલગ છાપરું બાંધીને રહેતા હતા. કમલેશભાઈના ભાઈ હર્ષદભાઈના લગ્ન તારાબેનની નાની બહેન સાથે થયા હતા, પરંતુ સસરા અને દિયર દ્વારા ત્રાસ અપાતા તેઓના છૂટાછેડા થયા હતા. ત્યારથી પ્રતાપસિંહ પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે અણબનાવ રાખતા હતા. તારાબેન અને તેમના પતિ સાથે પિયર જાય અથવા જમીન વિવાદમાં અલગ થઈ ગયેલા કાકા હિંમતસિંહ સાથે સંબંધ રાખે તે પ્રતાપસિંહને ગમતું ન હતું.
ગત શનિવારે દંપતી પિયર મહેમદાવાદ તાલુકાના જરાવત ગામે ગયું હતું અને મંગળવારે પરત આવ્યું હતું, જેની અદાવતમાં પ્રતાપસિંહએ તેના પતિની હત્યા કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાવ્યો છે. જેથી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.