નડિયાદ ઇન્દિરા નગરી ચોકડી, કેનાલ પર 25 ઝૂંપડાઓ દબાણમુક્ત
નડિયાદ શહેરમાં સોમવારે તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઇન્દિરા નગરી ચોકડી કેનાલ પર ગેરકાયદેસર રીતે બાંધેલા 25 જેટલાં ઝુંપડા સહિતના દબાણો મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન ટીમ સાથે બોલાચાલીની ઘટના પણ બની હતી.
નડિયાદ શહેરમાં સોમવારે મનપા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઇન્દિરા નગરી ચોકડી પાસે આવેલી અનેરી હાઇટ્સ પાસે અને સામે મોટાપાયે ગેરકાયદેસર ઝુંપડા બાંધીને લોકો લાંબા સમયથી વસવાટ કરે છે. આ અગાઉ પણ એકવાર તંત્રએ દબાણ હટાવ્યા હતા. જોકે, ફરી દબાણો ખડકાઇ જતાં તંત્ર દ્વારા સોમવારે ફરી એકવાર મનપા દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઇન્દિરા નગરી ચોકડી - કેનાલ પરથી 25થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ત્યાં સ્થાનિક રહીશો સાથે તંત્રના કર્મીઓને બોલાચાલી પણ થઇ હતી. જેસીબી લઇને દબાણો તોડવા પહોંચેલી ટીમને જોઇને લોકોએ પોતાનો સરસામાન બચાવવા નાસભાગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં બનાવવામાં આવી રહેલો સાઇકલ ટ્રેક શહેરીજનો માટે આશિર્વાદરૂપ બને તેમ છે.