મોદી કેબિનેટમાં મોટા ફેરફારના સંકેત! ચાર કેન્દ્રીય મંત્રીઓની વિદાયની અટકળો તેજ

મોદી કેબિનેટમાં મોટા ફેરફારના સંકેત! ચાર કેન્દ્રીય મંત્રીઓની વિદાયની અટકળો તેજ

નવી દિલ્હી, 5 જૂન 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. ભાજપ દ્વારા તાજેતરમાં વિવિધ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત અને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરફારો થવાના સંકેતો મળી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, ચાર કેન્દ્રીય મંત્રીઓની કેબિનેટમાંથી વિદાય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.


ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનના નામોને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યોર્જ કુરિયન હાલમાં મધ્યપ્રદેશથી રાજ્યસભાના સભ્ય છે અને મોદી સરકારમાં એકમાત્ર ખ્રિસ્તી ચહેરા તરીકે ઓળખાય છે. બીજી તરફ, પંજાબ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રવનીત સિંહ બિટ્ટુને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. બંને મંત્રીઓનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હોવા છતાં તેમને ફરી તક ન મળતાં આગામી કેબિનેટ વિસ્તરણમાં તેમની વિદાયની અટકળો તેજ બની છે.


આ ઉપરાંત, કેન્દ્રીય રાજ્યમંત્રી પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે અને હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના 'એક વ્યક્તિ, એક પદ'ના સિદ્ધાંતને ધ્યાનમાં લેતાં બંને નેતાઓએ મંત્રીપદ છોડવું પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે મોદી કેબિનેટમાં ચાર જગ્યાઓ ખાલી થઈ શકે છે અને નવા ચહેરાઓને તક મળવાની ચર્ચા શરૂ થઈ છે.


સંસદીય નિયમો અનુસાર, રાજ્યસભા સભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ કોઈ મંત્રી વધુમાં વધુ છ મહિના સુધી મંત્રીપદ પર રહી શકે છે. જોકે આ સમયગાળા દરમિયાન તેમને લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈ આવવું જરૂરી બને છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં મોદી સરકારના મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ ફેરફારો અને નવા સમીકરણો જોવા મળી શકે છે.