મેસીનો ભારત પ્રવાસ: ખર્ચ જાણીને ચોંકી જશો!
ફૂટબોલનો દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીના તાજેતરના ભારત પ્રવાસ દરમિયાન કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં સર્જાયેલી અફરાતફરી અને તોડફોડની ઘટના બાદ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ઈવેન્ટના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ બાદ હવે આ ઈવેન્ટના બજેટ અને મેસીની નારાજગીના કારણો બહાર આવ્યા છે.
મેસી પાછળ ₹100 કરોડનો ખર્ચ: ક્યાંથી આવ્યા આટલા પૈસા?
ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, તપાસ દરમિયાન આયોજક સતાદ્રુ દત્તાએ SIT સમક્ષ કબૂલાત કરી છે કે લિયોનેલ મેસીના આ ભારત પ્રવાસ પાછળ કુલ 100 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો હતો. આ કુલ બજેટમાંથી 89 કરોડ રૂપિયા મેસીને ફી તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 11 કરોડ રૂપિયા ભારત સરકારને ટેક્સ પેટે ભરવામાં આવ્યા હતા.
દત્તાએ આ રકમના સ્ત્રોત અંગે વધુમાં જણાવ્યું કે, કુલ ખર્ચના 30 ટકા સ્પોન્સર્સ દ્વારા અને બીજા 30 ટકા ટિકિટના વેચાણ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, SIT અધિકારીઓને દત્તાના ફ્રીઝ કરાયેલા બેન્ક ખાતામાંથી 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી છે, જે આ આખા વ્યવહારમાં ક્યાંથી આવી તેની હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
મેસી શા માટે અધવચ્ચેથી કાર્યક્રમ છોડીને ગયો?
SITના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લિયોનેલ મેસી નિર્ધારિત સમય પૂરો થાય તે પહેલાં જ સ્ટેડિયમ છોડીને રવાના થઈ ગયો હતો, જેની પાછળનું મુખ્ય કારણ ત્યાં હાજર લોકોનું અયોગ્ય વર્તન હતું. આયોજક સતાદ્રુ દત્તાએ ખુલાસો કર્યો હતો કે, મેસીને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પીઠ પર સ્પર્શ કરવો કે ગળે લગાવવું બિલકુલ પસંદ નથી અને તેની સુરક્ષા ટીમે આ બાબતે આયોજકોને અગાઉથી કડક સૂચનાઓ આપી હતી. જોકે, સોલ્ટ લેક સ્ટેડિયમમાં સ્થિતિ ત્યારે વણસી જ્યારે ભીડ બેકાબૂ બની ગઈ અને લોકોએ મેસીને ચારે બાજુથી ઘેરી લીધો હતો. વર્લ્ડ કપ વિજેતા ખેલાડી માટે આ પ્રકારનું વર્તન સુરક્ષા અને અંગત મર્યાદાની દૃષ્ટિએ બિલકુલ અસ્વીકાર્ય હોવાથી તે કાર્યક્રમ અધવચ્ચે છોડીને ચાલ્યો ગયો હતો.
સ્ટેડિયમમાં હંગામો અને તોડફોડ
હજારો ચાહકોએ મેસીને જોવા માટે મોંઘી ટિકિટો ખરીદી હતી, પરંતુ સુરક્ષામાં ખામી અને ગેરવ્યવસ્થાને કારણે મેસી ગેલેરીમાંથી દેખાતો નહોતો. મેદાન પર લોકો ઉતરી આવતા અફરાતફરી મચી હતી, જેનાથી ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમની મિલકતને નુકસાન પહોંચાડ્યું અને તોડફોડ કરી હતી.
SITની તપાસ તેજ
પશ્ચિમ બંગાળ સરકારે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તેની તપાસ માટે સીનિયર IPS અધિકારીઓની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરી છે. આ તપાસ ટીમ મુખ્યત્વે સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક, એક્સેસ નિયમોનું ઉલ્લંઘન તેમજ આયોજકો અને સ્થાનિક અધિકારીઓની ભૂમિકા જેવા મહત્ત્વના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ ઉપરાંત, સમગ્ર આયોજનમાં થયેલા નાણાકીય વ્યવહારો અને રજૂ કરાયેલા દસ્તાવેજોની સત્યતાની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આયોજક સતાદ્રુ દત્તાના ઘરે દરોડા પાડીને પોલીસે અનેક મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. પોલીસ અત્યારે એ બાબતની કડક તપાસ કરી રહી છે કે ટિકિટના વેચાણ અને સ્પોન્સરશિપ દ્વારા ઉઘરાવવામાં આવેલી મોટી રકમનો કોઈ દુરુપયોગ કરવામાં આવ્યો છે કે કેમ.