આણંદના જોડ વિસ્તારમાં આવેલી નહેરમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
લાશ નહેરમાં દેખાતા આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને લાશને બહાર કાઢી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન મળતી માહિતી મુજબ પોલીસને મૃતકની ઓળખ મળી ગઈ છે. મૃતક વડતાલ ગામના રાવળ ફળિયા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેનું નામ હિતેશભાઈ રાવળ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
હાલમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. મૃત્યુનું કારણ શું છે તે જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ ગુનાહિત બનાવ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.