નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને દરિયાઈ નાકાબંધીના ગંભીર સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી વ્યૂહાત્મક તેલ સપ્લાય રૂટ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માંથી ભારતના બે મોટા ઓઈલ ટેન્કરો સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે. આ જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌસેનાના યુદ્ધજહાજોને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ભારત માટે પેટ્રોલિયમ ઉત્પાદનો લઈને વધુ જહાજો આ માર્ગ પરથી પસાર થવાના છે, જેમને ભારતીય નૌસેના દ્વારા મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે જેથી દેશમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજી (LPG) ના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે.
હોર્મુઝની ખાડી વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે કરોડરજ્જુ સમાન છે, કારણ કે વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ સાંકડા દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે. તાજેતરમાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક મહત્વનું નિવેદન આપતા ભારતને 'મિત્ર દેશ' ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાને ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા મિત્ર રાષ્ટ્રોના જહાજોને આ દરિયાઈ માર્ગ પરથી સુરક્ષિત અવરજવરની વિશેષ મંજૂરી આપી છે. ઈરાન દ્વારા કરવામાં આવેલી નાકેબંધીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હોવા છતાં, ભારતીય જહાજો માટે આ માર્ગ ખુલ્લો રહેવો એ ભારતની મુત્સદ્દીગીરીની મોટી જીત સમાન છે.
ભારત માટે આ માર્ગનું મહત્ત્વ અત્યંત નિર્ણાયક છે કારણ કે દેશ તેની તેલની જરૂરિયાતના ૮૫% અને ગેસની જરૂરિયાતના ૫૦% આયાત પર નિર્ભર છે. ભારતની તેલની કુલ ખેપનો અડધો ભાગ અને એલએનજી (LNG) ના અડધાથી વધુ જહાજો હોર્મુઝની ખાડી થઈને જ ભારતીય બંદરો સુધી પહોંચે છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો ભારતમાં ગંભીર ઉર્જા કટોકટી સર્જાઈ શકે છે અને મોંઘવારી આસમાને પહોંચી શકે છે. આ જોખમને ટાળવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય નૌસેના અત્યંત સક્રિયતા બતાવી રહ્યા છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.