ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગ હવે ફરી ઉઠી છે અને આ માંગને લઈને 21 સપ્ટેમ્બરે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આ આંદોલનની શરૂઆત સિદ્ધપુરથી થાય તેવી શક્યતા છે.
સિદ્ધપુર મામલતદાર કચેરીથી આંદોલનની શરૂઆત કર્યા બાદ તેને ગાંધીનગર સુધી લઈ જવાની વાત સામે આવી છે.
આ આંદોલન દરમિયાન વિશ્વાસ ઠાકોર અને જસવંત ઠાકોર ગાંધીનગરમાં ધરણા પર બેસે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દારૂબંધી હટાવવાની માંગને સમર્થન આપતા લોકો અનેક મુદ્દા આગળ ધરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોવાના કારણે બુટલેગરોનું નેટવર્ક વધી રહ્યું છે અને પોલીસના હફ્તાની પ્રથા પણ બંધ થવી જોઈએ.
સમર્થકોનો વધુ એક દાવો છે કે દારૂબંધીના કારણે લોકો કાયદેસર રીતે દારૂ મેળવી શકતા નથી અને તેના પરિણામે નકલી દારૂના સેવનથી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓમાં લોકોના જીવ જાય છે.
તેમનું કહેવું છે કે જો દારૂબંધી હટાવવામાં આવે અને દારૂનું વેચાણ કાયદેસર કરવામાં આવે તો લોકોને ગુણવત્તાવાળો દારૂ મળી શકે અને ગેરકાયદેસર દારૂના ધંધા પર અંકુશ મેળવી શકાય.
પરંતુ બીજી તરફ, ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગનો આ મુદ્દો સામાજિક, કાયદાકીય અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલો મોટો વિષય છે.
હવે 21 સપ્ટેમ્બરે સિદ્ધપુરથી આંદોલનની શરૂઆત થાય છે કે નહીં અને ત્યારબાદ ગાંધીનગરમાં ધરણાં યોજાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
દારૂબંધી હટાવવાની માંગ સાથે શરૂ થનાર આ આંદોલન સરકાર સુધી કેટલો પહોંચે છે અને સરકાર તરફથી શું પ્રતિસાદ મળે છે—તે જોવું મહત્વનું રહેશે.