ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે કરાર કરી પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર (હયાતી) બનાવવાની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે સરળ બનાવી છે. આ નવી સુવિધા હેઠળ ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન રાજ્યના પેન્શનરોને તેમના ઘરે બેઠા જ નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર મળશે.
આ પહેલથી હવે પેન્શનધારકોને બેંક, ટ્રેઝરી અથવા અન્ય કચેરીઓમાં જવાની જરૂર નહીં રહે. પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો સીધા પેન્શનરોના ઘરે જઈને બાયોમેટ્રિક પ્રક્રિયા દ્વારા જીવન પ્રમાણપત્ર તૈયાર કરશે. આ સેવા ખાસ કરીને વયસ્ક અને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરો માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ પ્રકલ્પનો મુખ્ય હેતુ ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપ વધારવાનો છે. ફેસ ઓથેન્ટિકેશન અને ફિંગરપ્રિન્ટ આધારિત બાયોમેટ્રિક ટેક્નોલોજી દ્વારા માત્ર થોડા જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવશે. સાથે જ, આ પ્રમાણપત્રની ડિજિટલ નકલ સીધી પેન્શન કચેરી સુધી પહોંચાડવામાં આવશે.
આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશન મારફતે પૂરી પાડવામાં આવી રહી છે. ગયા વર્ષે ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ આ સુવિધાનો લાભ લીધો હતો, જેમાંથી ૬૨ હજારથી વધુ લોકોએ ઘરે બેઠા સેવા મેળવી હતી.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના અધિકારીઓએ જણાવ્યું કે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે આધાર નંબર, મોબાઇલ નંબર અને PPO નંબર આપવો જરૂરી રહેશે. પ્રમાણપત્ર બન્યા બાદ પેન્શનધારકોને તેમના મોબાઇલ પર એસએમએસ દ્વારા પ્રમાણ ID મળશે, જેના આધારે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.
આ પહેલ પેન્શનરો માટે મુસાફરી અને સમયના ખર્ચમાં મોટી બચત કરશે અને તેમની રોજિંદી જિંદગી વધુ સરળ બનાવશે. ખાસ વાત એ છે કે અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનરો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. સાથે જ, પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલીથી પેન્શન રકમ પણ ઘરે બેઠા ઉપાડી શકાશે, જેના કારણે સમગ્ર સેવા વધુ સુવિધાજનક બની છે.