ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સામાન્ય નાગરિકો સાથે જોડાણ અને જાહેર પરિવહન પ્રત્યે વિશ્વાસનો સંદેશ આપતા ગાંધીનગરથી સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ સુધીની મુસાફરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસમાં કરી હતી. રાજ્યપાલશ્રી બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં ભાગ લેવા માટે કેશરગંજ ગામે પહોંચ્યા હતા.
મુસાફરી દરમિયાન રાજ્યપાલશ્રીએ બસમાં સહ-મુસાફરો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો અને તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. સામાન્ય મુસાફરો સાથે થયેલી આ મુલાકાતે સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કેશરગંજ ગામે યોજાયેલા બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામ વિકાસ, કૃષિ અને જનકલ્યાણ સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. રાજ્યપાલશ્રીની એસ.ટી. બસમાં કરેલી આ મુસાફરીને લોકોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.