નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફરી એકવાર લોકડાઉન લાગવાની ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કોઈપણ પ્રકારની આર્થિક કે જાહેર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા ભાષણ બાદ આ અટકળો શરૂ થઈ હતી, પરંતુ તેમણે માત્ર વૈશ્વિક પરિસ્થિતિઓ સામે સજાગ રહેવાની અપીલ કરી હતી, "લોકડાઉન" શબ્દનો ઉપયોગ કર્યો નહોતો. 2020ની સ્થિતિ કરતા હાલની પરિસ્થિતિ તદ્દન અલગ હોવાથી જનતાએ ગભરાવાની જરૂર નથી.
આ અફવાઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજશે, જેમાં વર્તમાન વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઈંધણના વધતા ભાવ અને ગેસ નીતિઓ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ પાયાવિહોણી અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે. હાલ ભારતમાં લોકડાઉન લાગવાની કોઈ જ શક્યતા નથી.