રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની 'ચિંતન શિબિર'ના ‘બેસ્ટ પ્રેક્ટિસ સેશન’ અંતર્ગત મધ્ય ગુજરાતના જિલ્લાઓની મહેસૂલી કામગીરીએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે. વડોદરા જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલિયાએ મધ્ય ગુજરાત વિભાગના વિવિધ જિલ્લાઓની નોંધપાત્ર સિદ્ધિઓ અને વહીવટી સુધારાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતવાર વિગતો આપી હતી.
કલેકટર શ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત વિભાગના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ નવતર પ્રયાસોના પરિણામે છેલ્લાં માત્ર એક જ વર્ષમાં ૨૦,૦૦૦ જેટલા રેવન્યુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે, જે વહીવટી તંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે.
સેશન દરમિયાન આણંદ જિલ્લા કલેકટર દ્વારા અમલી બનાવવામાં આવેલી પ્રજાલક્ષી પહેલની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં સરકારી સેવાઓ અંગે લોકોના પ્રતિભાવો (ફીડબેક) લેવા માટે QR કોડનો અસરકારક ઉપયોગ અને સીધા જનસંપર્ક અને ગ્રામસભાઓના માધ્યમથી લોકોના પ્રશ્નો સાંભળવાની પદ્ધતિની સરાહના કરવામાં આવી હતી. સાથે જ જનસેવા કેન્દ્રોને વધુ સુવિધાજનક અને નાગરિક કેન્દ્રી બનાવવાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ચિંતન શિબિરમાં જમીનના કેસોના ડિસ્પોઝલ, ખેડૂત ખરાઈના કામો,કલમ ૬૩-એડી, સરફેસી એક્ટ(SARFAESI Act) તથા ટેલીગ્રામ એક્ટ અંતર્ગત જમીન સંબંધિત હીયરિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જટિલ કાયદાકીય પ્રશ્નોમાં સમયસર નિર્ણય લેવા માટે નવી કાર્યપદ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
શિબિરમાં સત્તાના પ્રકાર, સીટી સર્વેની કામગીરી અને એજન્સીલક્ષી બાબતોમાં સુધારા લાવવા માટે મહત્ત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ નવતર પ્રયોગોનો ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી મહેસૂલી સેવાઓ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો છે.