રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ની જાહેરાત થયા બાદ આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાને લઈ તૈયારીઓ તેજ બની ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ આણંદ જિલ્લામાં તા. ૨૬ એપ્રિલે મતદાન યોજાશે અને તા. ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ નક્કી કરવામાં આવી છે, જ્યારે ૧૩ એપ્રિલે ફોર્મની ચકાસણી અને ૧૫ એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચવાની મુદત રાખવામાં આવી છે.
ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા દિવસે બોરસદ નગરપાલિકાની ૩૬ બેઠકો માટે ૪ ઉમેદવારોએ પોતાના પત્રો ભર્યા છે. જ્યારે ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા, તારાપુર તેમજ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં આજના દિવસે એકપણ ઉમેદવારી નોંધાઈ નથી.