Advertisement

AAPમાં મોટો ભૂકંપ: રાઘવ ચઢ્ઢા સહિતના દિગ્ગજ નેતાઓને ભાજપે આપી એન્ટ્રી, પંજાબ-દિલ્હીના રાજકારણમાં ગરમાવો!

AAPમાં મોટો ભૂકંપ: રાઘવ ચઢ્ઢા સહિતના દિગ્ગજ નેતાઓને ભાજપે આપી એન્ટ્રી, પંજાબ-દિલ્હીના રાજકારણમાં ગરમાવો!

નવી દિલ્હી: દિલ્હી અને પંજાબના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) ને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાથે જ રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 113 થઈ ગયું છે, જ્યારે AAP પાસે હવે માત્ર 3 સાંસદો જ બચ્યા છે.


સંજય સિંહની રજૂઆત ફગાવી દેવાઈ

આ અગાઉ રવિવારે AAP સાંસદ સંજય સિંહે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય ઠેરવવા માંગ કરી હતી. તેમણે આને પંજાબની જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો. જોકે, રાજ્યસભા સચિવાલયે તમામ કાનૂની પાસાઓની તપાસ કર્યા બાદ આ પક્ષ પરિવર્તનને માન્ય રાખ્યું છે.


રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલ પર પ્રહાર: "ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો"

ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ આક્રમક તેવર બતાવ્યા છે. તેમણે જણાવ્યું કે, "મેં જે પાર્ટીને 15 વર્ષ લોહી-પરસેવો પાડીને સીંચી હતી, તે હવે સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. મને અહેસાસ થયો કે હું એક ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો. હવે આ પાર્ટી રાષ્ટ્રીય હિતના બદલે અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે."


કયા સાંસદો ભાજપમાં જોડાયા?

બંધારણીય જોગવાઈ મુજબ 2/3 સભ્યો એકસાથે અલગ થયા હોવાથી તેમની સદસ્યતા રદ થઈ નથી. ભાજપમાં જોડાનાર સાંસદોની યાદી નીચે મુજબ છે:


રાઘવ ચઢ્ઢા

હરભજન સિંહ

સ્વાતિ માલીવાલ

સંદીપ પાઠક

વિક્રમજીત સિંહ સાહની

અશોક મિત્તલ

રાજેન્દ્ર ગુપ્તા


રાજકીય ગણિત બદલાયું

આ ફેરફાર બાદ રાજ્યસભામાં સમીકરણો બદલાયા છે. ભાજપ હવે વધુ મજબૂત બન્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી માટે રાષ્ટ્રીય સ્તરે પોતાના ગઢને બચાવવો મુશ્કેલ બનશે. પંજાબના રાજકારણમાં પણ આની સીધી અસર જોવા મળી શકે છે.

Advertisement