Advertisement

આણંદના તારાપુર પાસે ગોઝારો અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતાં દાહોદના શ્રમિક પરિવારના 4ના મોત, 5 ગંભીર

આણંદના તારાપુર પાસે ગોઝારો અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતાં દાહોદના શ્રમિક પરિવારના 4ના મોત, 5 ગંભીર

તારાપુર: સોમવાર, આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર આવેલા ફતેપુરા ગામ નજીક આજે (11મી મે) વહેલી સવારે એક કમકમાટીભરી દુર્ઘટના સર્જાઈ હતી. રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રક પાછળ કેરી ભરેલો આઈશર ટેમ્પો પૂરપાટ ઝડપે ધડાકાભેર ઘૂસી ગયો હતો. આ ભીષણ ટક્કરમાં ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય પાંચ શ્રમિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


દાહોદનો શ્રમિક પરિવાર કાળનો કોળિયો બન્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ટેમ્પોમાં સવાર તમામ લોકો મૂળ દાહોદ જિલ્લાના શ્રમિકો હતા, જેઓ મજૂરી અર્થે જઈ રહ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો અને મૃતદેહો કેબિનમાં ફસાઈ ગયા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કેબિન કાપીને ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.


હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે રોષ

આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વિસ્તાર 'અકસ્માત ઝોન' હોવા છતાં અહીં કોઈ પણ પ્રકારના ચેતવણીના બોર્ડ કે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. માર્ગની સાઈડમાં અડચણરૂપ ઉભા રહેતા વાહનો સામે પણ તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.


પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ તારાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ ટ્રક ચાલક અને ટેમ્પો ચાલકની બેદરકારીના પાસાઓ પર તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement